જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો IED રિકવર કર્યું છે. જેના કારણે મોટી ઘટના ટળી છે. જયારે પોલીસ અને સુરક્ષા દળોની મદદથી જપ્ત કરાયેલ IEDને નષ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન રવિવારે પણ રાજ્યમાં બે ઘટનાઓ બની છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ ત્રાલના બેગુંદ વિસ્તારમાંથી 10 થી 12 કિલો વજનનો IED મળ્યો છે. પોલીસનું કહેવું છે કે તેમને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી શરૂ કરવામાં આવેલા ઓપરેશન હેઠળ IEDને રિકવર કરીને નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય આતંકવાદીઓએ શ્રીનગરમાં પણ લોકો પર ગ્રેનેડથી હુમલો કર્યો છે.
રવિવારે શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં ઘટનાસ્થળે હાજર અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી તમામને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. સાથે જ આતંકવાદીઓના સુરાગ શોધવામાં આવી રહ્યા છે.
આ પહેલા રવિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક સૈન્યના જવાનોએ એક ઉચ્ચ પ્રશિક્ષિત લશ્કર-એ-તૈયબા ગાઈડની ધરપકડ કરી હતી જેણે પાકિસ્તાન આર્મીના ગુપ્તચર એકમ માટે પણ કામ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સબઝકોટ ગામનો રહેવાસી 32 વર્ષીય તબરીક હુસૈન જ્યારે નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કહેવા પ્રમાણે છ વર્ષમાં બીજી વખત તેની ધરપકડ કરવામાં આવી છે.