GandhinagarNews : રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકો (Teacher)ના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના ત્વરિત, પારદર્શી અને સમયબદ્ધ ઉકેલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’(Seva Samadhan) https://ssp.ssgujarat.org/ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ ડિજિટલ પહેલનો શુભારંભ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતાં. આ પહેલથી રાજ્યભરના 3 લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’(Seva Samadhan) https://ssp.ssgujarat.org/ લોન્ચ

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ‘Classroom-First’ નો છે. તમામ વહીવટી કામગીરી પોર્ટલ મારફતે ઓનલાઈન થવાથી શિક્ષકો પરનો વહીવટી બોજ ઘટશે અને શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ઉપરાંત શિક્ષકોને હવે પોતાના સેવાકીય પ્રશ્નો કે રજૂઆતો માટે તાલુકા કે જિલ્લા કચેરીઓના ચક્કર કાપવામાંથી કાયમી મુક્તિ મળશે. શિક્ષકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થતા હકારાત્મક અભિગમ સાથે વર્ગખંડમાં વધુ નિષ્ઠાથી કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલું ‘સેવા સમાધાન પોર્ટલ’ (Seva Samadhan)એ માત્ર એક ટેકનોલોજીકલ પ્લેટફોર્મ નથી, પરંતુ ગુડ ગવર્નન્સ -સુશાસન અને શિક્ષક-કેન્દ્રિત વહીવટની દિશામાં લેવાયેલું એક ક્રાંતિકારી પગલું છે. શિક્ષકો વહીવટી ગૂંચવણોથી મુક્ત રહીને માત્ર ભણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવી વ્યવસ્થા આ પોર્ટલ દ્વારા કરવામાં આવી છે. આ પોર્ટલ મારફતે શિક્ષકોના ફિક્સ પગારમાંથી કાયમી કરવા, ઉચ્ચતર પગાર ધોરણ, CPF/GPF, રજા મંજૂરી, પેન્શન અને એરિયર્સ જેવા સેવાકીય પ્રશ્નોનું ઓનલાઈન અને સમયબદ્ધ નિરાકરણ લાવી શકશે, તેમ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.

શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ‘સેવા સમાધાન (Seva Samadhan)પોર્ટલ’ના પ્રથમ તબક્કામાં તા. ૦5 થી 31ઓગસ્ટ, 2026 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પોર્ટલ મારફતે હાલમાં તાલુકા કે જિલ્લા કક્ષાએ લાંબા સમયથી પડતર હોય૫ તેવી જ અરજીઓ રજૂ કરવાની રહેશે. આ પોર્ટલની કામગીરી અંગે દર મહિને શિક્ષણ વિભાગ (Education Department) ના અગ્રસચિવની અધ્યક્ષતામાં જિલ્લાવાર ફરિયાદોના સમયબદ્ધ નિકાલ માટે સમીક્ષા બેઠક યોજાશે.
શિક્ષકો (Teacher)માટે Teacher Code અને OTP વડે સુરક્ષિત લોગિન તેમજ માત્ર 3મિનિટમાં અરજી નોંધણી, રિયલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગ અને દરેક તબક્કે SMS અલર્ટની સુવિધા આ પોર્ટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અધિકારી દ્વારા નિર્ણય લેવાયા બાદ જો શિક્ષકને સંપૂર્ણ સંતોષ ન થાય, તો તેઓ ‘Keep Open’ વિકલ્પ પસંદ કરીને પુનઃ સમીક્ષા કરાવી શકે છે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું.
આમ એક રીતે જોવા જઇએ તો, સેવા સમાધાન પોર્ટલ’ થકી હવે રાજ્ય સરકારના ધ્યાનમાં સીધું આવશે કે કયા જિલ્લામાં શિક્ષકોના કેટલા પ્રશ્નો કે ફરિયાદો પેન્ડિંગ છે. આ પોર્ટલ મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી -DEO, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી-DPEO તેમજ નગરપાલિકા વિસ્તારના શાસનાધિકારીઓની કામગીરીનું રાજ્ય કક્ષાએથી સીધું મોનિટરિંગ કરવામાં આવશે. જે જિલ્લામાં સૌથી ઓછી ફરિયાદો અને પડતર પ્રશ્નો હશે, ત્યાંના અધિકારીઓની કામગીરી વધુ ઉત્કૃષ્ટ ગણાશે.
આ પોર્ટલ અધિકારીઓની કાર્યક્ષમતા માપવાનું એક સશક્ત માધ્યમ બનશે. ભવિષ્યમાં રાજ્ય સરકાર આ ડેટા અને પરફોર્મન્સના આધારે જ અધિકારીઓનું વાર્ષિક મૂલ્યાંકન અને વહીવટી નિર્ણયો લઈ શકશે. આ ડેટા-ડ્રિવન વ્યવસ્થાને કારણે ગ્રાઉન્ડ લેવલે DEO અને DPEO કક્ષાએ શિક્ષકોના પ્રશ્નો ઝડપથી ઉકેલવાની કામગીરીને મોટું પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ મિલીંદ તોરવણે, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીતકુમાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડ્યા તેમજ કમિશનર, શાળાઓની કચેરીના કમિશનર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
પોર્ટલ હેઠળ સમાવિષ્ટ ૮ મુખ્ય સેવાઓ
૧. ઉચ્ચતર પગાર ધોરણ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય તબક્કાની મંજૂરી.
૨. પ્રવાસ ભથ્થું (LTC): પ્રવાસ ભથ્થું અને રિઇમ્બર્સમેન્ટ.
૩. એરિયર્સ: પડતર બાકી રકમનું નિરાકરણ.
૪. પૂરા પગારમાં સમાવેશ: ફિક્સ પગારમાંથી કાયમી પગાર કરવો.
૫. CPF સંબંધી બાબતો: CPF નંબર/GYIS અને રકમ ઉપાડ.
૬. GPF સંબંધી બાબતો: GPF નંબર, GYIS, આંશિક/૯૦%/આખરી ઉપાડ.
૭. રજા મંજૂરી: વિવિધ પ્રકારની રજાઓની ઓનલાઈન મંજૂરી.
૮. પેન્શન સંબંધી બાબતો: નિવૃત્તિ લાભોનું સત્વરે નિરાકરણ.
