ભાજપ કોંગ્રેસ ડાબેરીઓના આક્રમણ સામે ઝઝુમવા મમતા દીદીનું પણ ધર્મનું કાર્ડ
કેન્દ્રીય પ્રધાનોની ફોજ દિલ્હીનું કામ બાજુએ મુકી પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરશે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળએ ક્રાંતિનું રાજ્ય છે. ક્રાંતિકારીઓની ભૂમિ છે. તુમ હમે ખુન દો હમ તુમ્હે આઝાદી દેગે ના નારા સાથે રાષ્ટ્રભક્તિની આહલેક જગાવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની અને સાહિત્ય મોરચે ભારતની જ્યોત વિશ્વવ્યાપી બનાવનાર ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર સહિત અનેક મહાનુભાવોની ભૂમિ છે. કોને યાદ કરવા અને કોને યાદ ન કરવા તે વિચારવા લાયક મુદ્દો બને તેમ છે.
આ વખતે ભલે પાંચ રાજ્યોની ચૂંટણી સાથે છે પણ પશ્ચિમ પંગાળને વધુમાં વધુ મહત્વ મળી રહ્યું છે. કેન્દ્રીય બજેટમાં પશ્ચિમ બંગાળ પર યોજનાઓનો વરસાદ કરવામાં આવ્યો છે. બે માસ કરતા વધુ સમયથી પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અનેક સભાઓ રોડ શો થઈ ચૂક્યા છે. ડાબેરી અને કોંગ્રેસ ૨૦૧૬ની ચૂંટણીની જેમ એક બનીને મેદાનમાં ઉતર્યા છે. બીજા ઘણા પરીબળો છે જે મેદાને જંગમાં છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૧૧ની ચૂંટણીમાં જે માહોલ ઉભો થયેલો અને ૩૦ વર્ષ કરતાં વધુ વર્ષના ડાબેરી શાસનનો અસ્ત થયો અને ટીએમસીની આગેવાની હેઠળના મમતા દીદીના શાસનનો ઉદય થયો.
મમતા દીદી ૨૦૧૧માં કોંગ્રેસ સાથે હતા પરંતુ ૨૦૧૬માં કોંગ્રેસ ડાબેરીઓ સાથેના ગઠબંધનમાં હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સમખાવા પૂરતી માત્ર એક જ બેઠક મેળવનાર ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૮ બેઠકો અને ૩૪ ટકા મત મળ્યા. તેથી ૨૦૧૯ બાદ ભાજપે પશ્ચિમ બંગાળ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ૨૦૧૯ના પરિણામોને આધાર બનાવી ભાજપે ત્યાં આક્રમક પ્રચાર અભિયાન પણ ચાલાવ્યું છે. જેના પરિણામે તે ૨૦૧૫માં વિધાનસભામાં મળેલી ૩ બેઠકોના સ્થાને ૨૦૦ પ્લસ બેઠકો મેળવવા આતુર છે અને તે માટે કોઈ કચાસ મૂકવા માગતો નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડ પણ મમતા બેનરજીની સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારે છે. જો કે આ બાબતને નિષ્ણાતો પશ્ચિમ બંગાળમાં લોકશાહી રૂપી સોનાની થાળીમાં લોખંડની મેખ સમાન ગણાવે છે.
ચૂંટણીની જાહેરાત પહેલા પશ્ચિમ બંગાળની પ્રજાએ ટીએમસી અને ભાજપના કાર્યકરોની અથડામણ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના કાફલા પર હુમલો તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર હાજર હોય ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પ્રવચન કરવા ઉભા થાય ત્યારે જયશ્રી રામજીના નારા લાગે અને સાથોસાથ મમતા દીદી મુર્દાબાદના નારાઓ પશ્ચિમ બંગાળ ભાજપના જવાબદાર આગેવાનો લગાવે અને ઉશ્કેરાયેલા મમતા દીદી પ્રવચન ટુંકાવે અને મહેમાનને બોલાવી તેનું અપમાન કરવું તે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ નથી તેમ જણાવી જતા રહે. આ બાબતને ભગવાન રામના નામ સાથે જોડીને મમતાદીદીનું ભગવાન શ્રી રામના નામ સામે વાંધો છે તેવો પ્રચાર થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવા નેતા પણ ફુટબોલની રમતનો ઉલ્લેખ કરી મતદારો રામ કાર્ડ દેખાડી મમતાદીદીને આઉટ કરી દેશે એવા વિધાનો કરે તે પણ પશ્ચિમ બંગાળની પ્રજાએ જોયું છે મમતા દીદીના અનેક જવાબદાર સાથીઓને ભાજપનો કેસરીયો ખેસ પહેરતા પશ્ચિમ બંગાળની ક્રાંતિકારી પ્રજાએ જોયા છે. ભાજપના ૨૯૪ પૈકી મોટા ભાગના ઉમેદવારો પણ કાંતો ટીએમસીના પક્ષપલ્ટુ નેતાઓ હશે અથવા તો રાજકારણમાં નહોતી અને વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવતી સેલીબ્રીટી હશે. ટુંકમાં ભાજપને ઉમેદવારો પણ બહારથી શોધવા પડ્યા છે તેવો કોઈ આક્ષેપ કરે તો તે સાવ ખોટો તો નથી જ તેવું નિષ્ણાંતો કહે છે.
જોકે સામે પક્ષે મમતા બેનરજી ભલે મૂળ કોંગ્રેસી નેતાઓ હોય પરંતુ તેઓ ગુજરાતના કોંગ્રેસી નેતાઓની જેમ શરણાગતિ સ્વીકારે તેવા નેતા નથી. પશ્ચિમ બંગાળની પુત્રી છે. અને પશ્ચિમ બંગાળની અસ્મિતા પર ખતરો ઉભો થયાના નારા સાથે મેદાનમાં ઉતર્યા છે અને ભાજપના નેતાઓ દ્વારા થતાં દરેક પ્રકારના પ્રચારનો જવાબ આપે છે. આ અને ભાજપના કાર્યક્રમો સામે વખતા કાર્યક્રમો પણ આપે છે. આમ જુઓ તો ગુજરાતમાં જે રીતે ૨૦૦૨માં મોદી વર્સિસ ઓલ જેવી સ્થિતિ હતી તેવી રીતે પશ્ચિમ બંગાળમાં ભલે કોંગ્રેસ અને ડાબેરીઓ અલગ લડતા હોય પણ હકિકતમાં તેઓ પ્રહારો મમતા બેનરજી પર જ કરે છે. તેથી જ તો મહારાષ્ટ્રના સામના સહિત ઘણા અખબારોએ એ વાતની નોંધ લીધી છે કે પશ્ચિમ બંગાળમાં મમતાદીદી વર્સિસ ઓલ એટલે કે બધા તેવી સ્થિતિ છે. માત્ર પ્રજાનો મોટો વર્ગ હજી પણ મમતા દીદી સાથે છે તેમ છ માસ પહેલા થયેલી વિધાનસભાની ૬ બેઠકની પેટા ચૂંટણીમાં અને આઠ માસ પહેલા યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં સાબીત થઈ ચુક્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પ્રચાર અભિયાન વધુ આક્રમક બનાવ્યું છે. પોતે કરેલી કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળ સાથે રખાતો ભેદભાવ, ભાજપના નેતાઓ દ્વારા પશ્ચિમ બંગાળની અસ્મિતા પર ઉભો કરાયેલો ખતરો સહિતના મુદ્દા ચગાવ્યા છે. તો સાથો સાથ તાજેતરની એક રેલીમાં મમતા દીદીએ ભાજપની જેમ ધાર્મિકનારાઓ આપ્યા શરૂ કર્યા છે. તેમણે થોડા સમય પહેલા યોજાયેલી રેલીમાં મમતા દીદીએ કહેલું કે ‘હરેકૃષ્ણ હરેરામ વિદાય થાય ભાજપ – વામ (ડાબેરીઓ) ‘ હરે કૃષ્ણ હરે હરે તૃણમુલ કોંગ્રેસ ઘરે ઘરે’ આ નારો ખાસ કરીને પશ્ચિમ બંગાળની ગુજરાતી વિસ્તારોમાં વધુ ચગાવવામાં આવ્યો છે. હવે મમતા દીદી શિવરાત્રીના દિવસે નંદીગ્રામમાંથી ફોર્મ ભરશે અને શિવમંદિરે પ્રદર્શન કરી આ મહાપર્વના કાર્યક્રમમાં ભાગ લેશે.
જ્યારે ડાબેરીઓ અને કોંગ્રેસે વિશાળ જાહેર સભા સાથે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. જો કે તેમાં ઉપર જણાવ્યું તે પ્રમાણે ભાજપ કરતા મમતાદીદીના શાસન પર વધુ પ્રહારો થયા હતા અને ૨૦૦૬ના પરિણામો દોહરાવવા અપીલ કરાઈ છે ત્યાં ડાબેરીઓ ૧૬૨ કોંગ્રેસે ૯૨ અને એક નવા પ્રાદેશિક પક્ષે બાકી ૪૦ બેઠકો લડવાનું નક્કી કરી નવું ગઠબંધન બનાવી લીધું છે.
જાે કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મુખ્ય જંગ ભાજપ અને ટીએમસી વચ્ચે જ છે તેવું મોટા ભાગના નિષ્ણાતો કહે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે આક્રમક પ્રચાર ઝુંબેશની યોજના ઘડી કાઢી છે. વડાપ્રધાન મોદીની ૧૫થી વધુ સભાઓ, ગૃહમંત્રી અમિત શાહની ૪૦થી વધુ સભાઓ પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકોને આવરી લે તે રીતે યોજાશે. જ્યારે લગભગ એક ડઝનથી વધુ કેન્દ્રીય પ્રધાનો અને છ થી વધુ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ ઉતરવાના છે. ૧૦મી માર્ચ બાદ કેન્દ્રીય પ્રધાનો દિલ્હીમાં પોતાને પ્રજાએ સોંપેલી જવાબદારી બાજુએ મૂકી કે અધિકારીઓ પર છોડી મમતા દીદીને ચૂંટણીમાં હરાવવા માટેના સૂત્ર સાથે મેદાનમાં ઉતરશે. પશ્ચિમ બંગાળના મુસ્લિમ મત વિસ્તારોમાં મત તોડવા ડાબેરીઓ અને કોંગ્રેસ સાથે ઓવૈસી પણ હાજર છે જ્યારે ૭૦ બેઠકો પર જેનું વર્ચસ્વ છે, તે મતુઆ સમાજને સાથે લેવા માટે ભાજપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ટામે જ બાંગ્લાદેશ સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું અને બંગાળ અને બાંગ્લાદેશની સરહદો પર વસતા મતુઆ સમાજને વિવિધ લાભો આપી પોતાની તરફેણમાં ખેંચવાની યોજના ઘડી છે. આ બાબતને ઘણા નિષ્ણાતો ભાજપનો માસ્ટર સ્ટોક ગણે છે તો કેટલાક નિષ્ણાતો ભારતની ચૂંટણીમાં વિદેશી સહાય લેવાનો ખતરનાક પ્રયાસ કહે છે અને રાષ્ટ્રવાદી હોવાનો દાવો કરતો પક્ષ જમ્મુ કાશ્મીરમાં જે રીતે મહેબુબા મુફ્તીને શાસન આપીને જે ભૂલી કરી હતી તેજ ઈતિહાસનું પુનરાવર્તન ભાજપ કરી રહ્યું છે. ટુંકમાં તમામ પક્ષો ચૂંટણીમાં બધુ ચાલે તેમ જણાવી આવ ભાઈ હરખા જેવું વર્તન કરે છે. આવતા દિવસોમાં પશ્ચિમ બંગાળમાં તો અનેક ખેલ જોવા મળશે. મોદીના રામકાર્ડ સામે મમતાએ હરેકૃષ્ણના નારા સાથે હવે શીવકાર્ડ પણ ઉતરવાનું નક્કી કર્યું છે. તેવું નંદીગ્રામમાં શિવરાત્રીના દિને ફોર્મ ભરી કાર્યક્રમોમાં ભાગલઈ મમતા શિવકાર્ડ ઉતરવા તૈયાર છે.