@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની દિલ્હી મુલાકાત અને તેની વિવિધ પક્ષોના નેતાઓ સાથેની વાતચીત બાદ એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે વિપક્ષોને એક કરવાનું મમતા દદીનું શમણું સફળ થશે ખરૂં ? શિયાળ તાણે સીમ ભણી અને કૂતરૂ તાણે ગામ ભણી જેવી વિરોધાભાસી વિચારધારા ધરાવતા વિપક્ષો એક થઈ શકશે ખરાં ? અથવા એક થશે તો ૨૦૨૪ની ચૂંટણી સુધી આ એકતા જાળવી શકશે ખરાં ? ઉત્તરપ્રદેશના નંબર બે અને નંબર ત્રણનું સ્થાન ધરાવતા સપા અને બસપાના ભત્રીજા અને ફઈ ફરી એક મંચ પર આવી શકશે ખરા ? ભત્રીજાના કાકા વિપક્ષી મોરચાની સાથે રહેશે કે સામે જશે ? જદયુના નીતિશકુમાર વિપક્ષી મોરચા સાથે રહેશે કે હરિયાણાના ઓમપ્રકાશ ચૌટાલા દ્વારા ઉભા કરાનારા ત્રીજા મોરચા સાથે રહેશે ? ભાજપના લાંબા સમય સુધી મિત્ર રહેલા અને હવે સામે મેદાનમાં આવેલા મહારાષ્ટ્રના શીવસેના પક્ષ કાયમી ધોરણે ભાજપ વિરોધી પક્ષ રહેશે ખરો ? કૃષિ કાયદાના મામલે એન.ડી.એ.થી અલગ પડેલ અકાલી દળે અત્યારે તો પંજાબની ચૂંટણી પુરતું ભલે બસપા સાથે જાેડાણ કર્યું હોય પરંતુ સંયુક્ત વિપક્ષી મોરચામાં તે સામેલ થશે ખરો ? દક્ષિણના રાજકીય પક્ષો ટી.ડી.પી. ડાબેરી મોરચો, વાયઆરએસ કોંગ્રેસ કે ટીઆરએસ ભાજપ વિરોધી મોરચામાં જાેડાશે ખરાં ? જ્યારે ડીએમકે તો યુપીએનો ઘટક જ છે પણ તે આ જાેડાણનો ધર્મ નિભાવશે ખરો ? ઓરિસ્સાના નવીન પટનાયકનો પક્ષ બીજેડી અવારનવાર રંગ બદલતો રહે છે. તે તો ઓરિસ્સા પૂરતો તો ભાજપ અને કોંગ્રેસ બન્ને સામે લડે છે પરંતુ સંસદના બન્ને ગૃહોમાં તો તે મોટેભાગે એન.ડી.એન.ની સાથે જ રહ્યો છે તે પણ હકિકત છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનો પક્ષ પાંચ રાજ્યોમાં તો પોતાની તાકાતથી ચૂંટણી લડવા માગે છે. લોકસભામાં તે ભાજપ વિરોધી મોરચાનો સાથ આપી શકશે ખરો ?
આ બધા પ્રશ્નોનો કોઈ યોગ્ય જવાબ મળતો નથી. બીજું આ વિરોધ પક્ષો એક થશે અને માનો કે સંયુક્ત મોરચો બનાવશે તો તેનો સંઘ કાશીએ પહોંચશે ખરો ? અત્યારે ટી.એમ.સી. કોંગ્રેસ, શીવસેના, એન.સી.પી. અને ડાબેરીઓ તેમજ સપા સહિતના જે પક્ષો ભાજપ અને ભાજપના આગેવાનો સામે બળાખા કાઢે છે તે જાેતા કદાચ કાળા મોરને પણ લાવો પણ ભાજપને તો હરાવો જ. આ દૃષ્ટિકોણ બદલાયેલા જમાનામાં સફળ થઈ શકશે ખરૂં ? આનો જવાબ સ્પષ્ટપણે નકારમાં છે.
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ રોજ એક મુદ્દા પર મોદી અને ભાજપ પર પ્રહાર કરે છે તેમના દસ પૈકી આઠ પ્રહાર એવા હોય છે કે જેમાં માત્ર આક્ષેપબાજી હોય છે, વાસ્તવિકતા હોતી નથી. હમણા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ લોકોને યાતના આપતા મોંઘવારી બેકારી અને કોરોનામાં લોકોને પડેલી મુશ્કેલીના બદલે અન્ય મુદ્દા ચગાવવાની વાતને બદલે માત્ર જાસૂસી કાંડ પર મચી પડ્યા છે તેના કારણે યોગ્ય પરિણામ આવશે ખરૂં ? શું લોકોના મનમાં એવી છાપ ઉભી નહિં થાય કે વિપક્ષો માત્ર પોતાના પગ નીચે આવેલા રેલા અંગે જ અવાજ ઉઠાવે છે અને પ્રજાને પીડતા પ્રશ્નો અંગે અવાજ ઉઠાવતા નથી. સંસદમાં કોંગ્રેસ સહિતનો વિપક્ષ કામ કરવા દેતો નથી તેવા મોદી સરકારે શરૂ કરેલા પ્રચારનો યોગ્ય જવાબ આપવાની તાકાત આજના વિપક્ષમાં છે ખરી ?
૨૦૧૪માં મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાને ચગાવી અને અચ્છે દિનના વાયદા આપી સત્તા પર આવેલ ભાજપ પોતાના આ વાયદા પૈકી એક પણ પૂરા કરી શક્યો નથી તે હકિકત છે પણ આ વાત જન-જન સુધી પહોંચાડવા વિપક્ષ સક્ષમ છે ખરો ? રાહુલ ગાંધી હોય, મમતા બેનરજી હોય કે પછી ડાબેરી નેતાઓ હોય અત્યારે તો આ બધાનું લક્ષ્યાંક માત્રને માત્ર એક જ છે. મોદી પર અને ભાજપ પર પ્રહાર કરો. આ હથિયાર સફળ થશે ખરૂં ?
ગુજરાતમાં ભાજપ ૧૯૯૫થી સત્તા પર છે. ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં વિપક્ષે એટલે કે કોંગ્રેસે આક્રમક વ્યૂહ અપનાવ્યો પણ તેમાં મોદી અને ભાજપ પર પ્રહારો કરવા સિવાય બીજી કોઈ વાત નહોતી. જેમ જેમ મોદી અને ભાજપ અને હવે સાથોસાથ રૂપાણી પણ મજબૂત બન્યા છે. સફળતા મેળવવા માટે કોઈ નક્કર કાર્યક્રમ હોવો જાેઈએ. દિલ્હીમાં પહેલી વખત કેજરીવાલ કોંગ્રેસવિરોધી હવામાન અને અણ્ણા હજારેના આંદોલનના કારણે જીત્યા. ૨૦૧૫માં પોતાનું કામ અઘરૂં છે તે કહી ભારે બહુમતીથી સત્તા મેળવી અને ૨૦૨૦માં તો પોતે જે કામ પાંચ વર્ષ કર્યું તેની તાકાતથી જીત્યા. દિલ્હીની પ્રજાએ પણ મન બનાવી લીધું હતું કે કેન્દ્રમાં મોદી અને દિલ્હીમાં કેજરીવાલ બરોબર છે. અત્યારે ભલે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને એક ત્રાજવે તોળે છે પણ સાથોસાથ અમે સત્તા પર આવશું તો શું કરશું તેવી વાત પણ કહે છે અને દિલ્હી મોડલનો દાખલો પણ આપે છે. ગુજરાતમાં ૨૦૨૨ માટે ભાજપે આટલી બધી સામટી તાકાત કામે લગાડી છે તેના માટે આજ મુખ્ય પરિબળ જવાબદાર છે. ગુજરાતમાં ભાજપને ભાંગેલી કે તૂટેલી જૂથબંધીવાળી અને સ્થાનિક ચૂંટણીઓના પરિણામ બાદ હતાશાના કારણે પતી ગયેલી પાર્ટી તરીકે ઓળખાતી કોંગ્રેસનો ડર ભાજપને નથી. પણ દિલ્હીમાં ‘કામ’ કરી બતાવનાર ‘આપ’નો ડર છે. કોંગ્રેસની રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢની સરકારના જે જમા પાસા છે તે લોકો સમક્ષ રજૂ કરવામાં પણ કોંગ્રેસ પાછી પડે છે. જાે આમ જ ચાલ્યું તો ગુજરાતમાં કોંગ્રેસ માટે વધુ એક વાર ગાંધીનગરની ગાદી દૂર જ રહેવાની છે. અને વધુ એક પરાજય પચાવવા માટે કોંગ્રેસના આગેાનોએ તૈયાર જ રહેવું પડશે તેવું અત્યારે તો લાગે જ છે.
જ્યારે રાષ્ટ્રીય મોરચે પણ વિપક્ષો માત્રને માત્ર મોદી પર પ્રહારો કરીને ચૂંટણી જીતવા માગતા હોય તો સફળ થવાના નથી. વિપક્ષોએ સંયુક્ત બનવાની સાથે પોતાના ચડિયાતા કોમન મીનીમમ પ્રોગ્રામ અને જે રાજ્યોમાં વિપક્ષી સત્તા છે ત્યાં તેઓએ કઈ સફળ કામગીરી કરી તે લોકોના ગળે ઉતારે તે રીતે સમજાવવું પડશે. જાે આ વાત લોકોના ગળે ઉતરશે તો જ વિપક્ષ જીતી શકશે. બાકી તો ૨૦૨૪માં પણ દિલ્હી દૂર જ રહેવાનું છે તે નક્કી છે.