દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર સળગતી અમર જવાન જ્યોતિને આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સળગતી જ્યોત સાથે ભેળવી દેવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી. ઈન્ડિયા ગેટ પર છેલ્લા 50 વર્ષથી અમર જવાન જ્યોતિ સળગે છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, “ઘણા દુખની વાત છે કે જે અમર જ્યોતિ આપણા બહાદુર જવાનો માટે સળગતી હતી તે આજે બુઝાઈ જશે. કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી. કોઇ વાંધો નહી. અમે અમારા જવાનો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતિને સળગાવીશું
बहुत दुख की बात है कि हमारे वीर जवानों के लिए जो अमर ज्योति जलती थी, उसे आज बुझा दिया जाएगा।
कुछ लोग देशप्रेम व बलिदान नहीं समझ सकते- कोई बात नहीं…
हम अपने सैनिकों के लिए अमर जवान ज्योति एक बार फिर जलाएँगे!— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2022
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે અમર જવાન જ્યોતિને શુક્રવારે બપોરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સળગતી જ્યોત સાથે વિલિન કરવામાં આવશે, જે ઇન્ડિયા ગેટની બીજી બાજુથી માત્ર 400 મીટરના અંતરે સ્થિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં 25,942 સૈનિકોના નામ સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે.
અમર જવાન જ્યોતિની સ્થાપના 1971ના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. તેનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરી 1972ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું.