સુરતમાં ગરમીનો પારો વધતા આગની ઘટનાઓ સામે આવી રહી છે. આ સમયે હવે શહેરના સગરામપુરામાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગના પગલે ઘરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા બારીમાંથી બીજા ફ્લેટમાં રેસ્ક્યૂ કરાયા હતા.
જો કે ત્યારબાદ આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડેને કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જેથી ધુમાડો ઉપરની તરફ આવતાં એપાર્ટમેન્ટના રહિશોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. જેથી લોકોએ જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. જીવ જોખમમાં મૂકીને લોકો બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં ગયા હતાં.
આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેમાં ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.
આગની ઘટના બાદ ફાયરબ્રિગેડ પહોંચતા સુધીમાં લોકોએ જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા અને પછીથી ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મિલ નામની ડાઈંગ મિલમાં રાત્રેઅચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગ્રત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ કરતાં ત્રણેય પાંખના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબુમાં કરી હતી.