ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર ફરી પગપેસારો કરી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ વોર્ડમાં 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન કુલ 11 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ 11 સ્વાઈન ફલૂ પોઝિટિવ કેસમાં 4 મહિલા, 5 પુરુષ, 1 યુવાન અને એક 4 વર્ષના બાળકનું મોત થયું છે. ઉપરાંત સૌથી વધારે 8 દર્દી અમદાવાદમાંથી, 1 કડી, 1 મહેસાણા અને 1 ઇડરમાંથી છે. સપ્ટેમ્બર મહિનાના 10 દિવસમાં 22 પોઝિટિવ કેસો અને 4 મોત થયા છે.
રાજકોટ શહેરમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂના 4 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં 2 કેસ પોઝિટિવ અને 2 કેસ શંકાસ્પદ છે. આ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત જુનગઢમાં 2, અમરેલીમાં 1 અને ગીર સોમનાથમાં 1 પોઝિટિવ કેસ જોવા મળ્યો છે.
રાજકોટમાં આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાતા કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત સહીત આઠ જગ્યા પરથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. તેમજ સ્વાઈન ફ્લૂના 3 પોઝિટિવ કેસ જોવા મળતા તંત્ર દોડતું થયું છે.
સુરતમાં પણ, સ્વાઈન ફ્લુનો એક પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 10 સ્વાઈન ફ્લૂના કેસો નોંધવામાં આવ્યા છે, જેમાના 6 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.