બુધવારથી ગણેશોત્સવનો (Ganeshotsav) પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ગણપતિ બાપ્પાને પોતાના ઘર અને વિસ્તારમાં સ્થાપન કરીને બિરાજમાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં ગણપતિ બાપ્પાનું સૌથી મોટું મંદિર મહેમદાવાદમાં આવેલ સિદ્વિ વિનાયક મંદિર છે.આ મંદિરમાં ગણેશચતુર્થી તહેવારની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
દેવનગરી મહેમદાવાદમાં આવેલ પવિત્ર વાત્રક નદીને કિનારે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે પવિત્ર ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વને લઇને તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી નરેન્દ્ર ભાઈ પુરોહિત દ્વારા પોતે ખડે પગે ઊભા રહી પોતાની હાજરી મંદિરના પરિસરમાં આપી ગણપતિ દાદાનો આ વિશેષ પર્વ જેને લઇને સિદ્ધિવિનાયક દેવસ્થાન દ્વારા ઇકો ફ્રેન્ડલી ( માટી ની મુર્તિ ) જે નિશુલ્ક મહેમદાવાદ તાલુકામાં તેમજ જિલ્લામાં જ્યાં જ્યાં ગણપતિદાદાના પંડાલ માં દાદા ની સ્થાપના કરવાની છે તેમને નિશુલ્ક દાદા ની ઇકો ફ્રેન્ડલી મુર્તિ મંગળવારના દિવસે આપવામાં આવશે.
દાદા ના પવિત્ર પર્વના પ્રથમ દિવસ એટલે કે સ્થાપના દિવસે મુખ્ય મહેમાન તરીકે હાલના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ ના હસ્તે પૂજા અર્ચના કરી, સંકલ્પ લેવડાવી બીજા અનેક મહેમાનો તેમજ ભકતજનો દ્વારા મંદિરના પરિસરમાં જ બનાવેલ પંડાલમાં ગણપતીદાદા ની સ્થાપના કરવામાં આવશે.ગણપતિદાદાના આ પવિત્ર પર્વ એટલે કે ગણેશ ચતુર્થી ના નવેનવ દિવસ સવાર-સાંજ આરતી તેમજ થાળ સાથે વિવિધ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે.અંતિમ દિવસે એટલે કે વિસર્જનના દિવસે ઢોલ નગારા સાથે દાદાનુ વિસર્જન કરવામાં આવશે.મંદિરના પરિસરમાં પણ એક વિશેષ કુંડ નું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં જે કોઈ ભાવી ભક્તોએ ગણપતિ દાદા ની ઇકો ફ્રેન્ડલી ( માટીની મૂર્તિ ) વિસર્જન કરવી હોય તે કરી શકશે..