રાંચી.
સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ચારા કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને વધુ એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ ૫ વર્ષ અને ૫ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ પહેલા ચારા કૌભાંડના બે કેસમાં લાલુ યાદવે સજા ફટકારવામાં આવી ચુકી છે. લાલુ યાદવ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
CBIની કોર્ટે લાલુ યાદવને ચારા ઘોટાડાના ચાઈબાસા ટ્રેઝરી સાથે જોડાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ સુનવણી થઇ હતી અને આ કેસ સંદર્ભે અદાલતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ બુધવારે થયેલી પીટીશન બાદ લાલુ યાદવ ઉપરાંત કુલ ૫૬ માંથી ૫૦ લોકોને દોષિત ઠેરવ્યા હતા જયારે અન્ય ૬ને નિર્દોષ સાબિત કર્યાં હતા.
Third fodder scam case: Both Lalu Yadav and Jagannath Mishra also fined Rs 5 lakhs each by Ranchi Court
— ANI (@ANI) January 24, 2018
શું છે ચાઈબાસા ટ્રેઝરી કેસ ?
ચાઈબાસા ટ્રેઝરી ૧૯૯૨-૯૩માં ૬૭ નકલી ફાળવણી પત્રો પર ૩૩.૬૭ કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉચાપત થઇ હતી. ત્યારબાદ આ મામલે ૧૯૯૬માં કેસ નોધાયો અને કુલ ૭૬ આરોપી આ કેસમાં સામેલ હતા. સુનવણી દરમિયાન ૧૪ આરોપીઓનું મોત થઇ ચુક્યું છે જયારે બે આરોપી સુશીલ કુમાર ઝા અને પ્રમોદકુમાર જયસ્વાલે ગુનો કબૂલ કરી લીધો છે. અન્ય ત્રણ આરોપીદીપેશ ચાંડક, આર કે દાસ અને શૈલેષ પ્રસાદ સિંહને સરકારી સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આ પહેલા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા લાલુ યાદવને બે કેસમાં દોષિત ઠેરવ્યા હતા. CBI કોર્ટ આરજેડી પ્રમુખને ચાઈબાસાના પહેલા કેસમાં ૫ વર્ષ જયારે દેવધર ચારા કૌભાંડમાં ૩.૫ વર્ષની સજા ફટકારી ચૂકી છે.
CBI ડે-ટુ-ડેના બેસિસ પર સુનવણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CBIની સ્પેશિયલકોર્ટ ચારા ઘોટાડાની સુનવણી ડે-ટુ-ડેના બેસિસ પર કરી રહી છે. ત્યારે ઝારખંડના ચારા ઘોટાડામાં લાલુ યાદવ પર પાંચ કેસ રજીસ્ટર કરવામાં આવ્યા હતા, જેમાં બે કેસમાં કોર્ટ સજાનું એલાન કરી ચૂકી છે.
