નવી દિલ્હી,
આયર્લેન્ડ સામે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ મંગળવારથી ઇંગ્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. જો કે આ પહેલા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થવાના કારણે બહાર થઇ ગયા છે, ત્યારે તેઓની જગ્યાએ ઓલરાઉન્ડર પ્લેયર્સ કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર દિપક ચહરનો સમાવેશ કરાયો છે.
કૃણાલ પંડ્યાનો ભારતીય ટીમમાં સમાવેશ થવાની સાથે જ કૃણાલ અને સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની જોડી ભારતીય ટીમમાં ચમકશે. આ સાથે જ ભારતીય ટીમમાં આ ત્રીજી જોડી હશે જેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પહેલા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથ તેમજ ઈરફાન – યુસુફ પઠાણ પણ ભારતીય ટીમ માટે રમી ચુક્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરીએ જણાવ્યું, “સિલેકશન કમિટી દ્વારા ઇંગ્લેન્ડ સામે રમાનારી મર્યાદિત ઓવરોની સિરીઝ માટે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કૃણાલ પંડ્યાને ભારતીય ટી-૨૦ ટીમમાં અને અક્ષર પટેલને વન-ડે ટીમમાં પસંદ કરાયા છે”.
મહત્વનું છે કે, આયર્લેન્ડ સામે ૨૭ જૂનના રોજ રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં ફિલ્ડીંગ દરમિયાન જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો, જયારે વોશિંગ્ટન સુંદરને પગમાં એન્કલ ઇન્જરી થવાના કારણે તેઓ ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાંથી બહાર થઇ ગયું છે.