અમદાવાદ: પ્રવાસી ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે યજમાન ટીમ India બે ટેસ્ટ મેચની પહેલી ટેસ્ટ ચોથી ઓક્ટોબરથી રાજકોટમાં રમશે. જો કે ટીમ ઇન્ડિયાએ પરંપરાથી વિપરીત પહેલી વખત મેચના એક દિવસ અગાઉ પોતાના ફાઈનલ 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. અત્યાર સુધી મેચવાળા દિવસે જ ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ જાહેરાતની સાથે જ પૃથ્વી શોનું ટેસ્ટ ડેબ્યૂ કરવાનું પણ લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જો કાલે ભારતને પ્રથમ બેટિંગ કરવાની તક મળશે તો પૃથ્વી શો કે.એલ. રાહુલની સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.
અભ્યાસ મેચમાં 90 રન બનાવનાર મયંક સ્થાન મેળવી ન શક્યા
પહેલી ટેસ્ટ મેચ માટે ટીમ India દ્વારા 12 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કે.એલ. રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડની સામે ઓવલ ટેસ્ટ મેચમાં 56 રન બનાવનાર હનુમા વિહારી ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી, જયારે બીજી તરફ મયંક અગ્રવાલને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમણે ભારતીય અધ્યક્ષ બોર્ડ ઈલેવન અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાયેલી અભ્યાસ મેચમાં 90 રનની ઈનિંગ રમી હતી. ઘરેલું ક્રિકેટ અને ઇન્ડિયા-એ ની તરફથી રમીને પણ મયંક ઘણું સારું પ્રદર્શન રહ્યા છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પૃથ્વીને તક મળી ન હતી
પૃથ્વી શોનો ફાઈનલ 12 ખેલાડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં રમાયેલી શ્રેણીમાં પણ તેમને એક ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે 18 વર્ષીય આ ખેલાડી ફાઈનલ ઈલેવનમાં પોતાનું સ્થાન બનાવી શક્યો ન હતો.
વિરાટે કહ્યું-પૃથ્વી દબાણ નહિ લે
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘ફક્ત ટોપ ઓર્ડર જ છે, જ્યાં પ્રયોગ કરવાની જરૂરિયાત છે. પૃથ્વી આને એક તક તરીકે લે, નહી કે, દબાણની રીતે.’ પૃથ્વીના ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સાત સદી અને પાંચ અર્ધ સદી નોંધાયેલી છે.
પૃથ્વીએ રણજી અને દલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી
પૃથ્વીએ નવેમ્બર, ૨૦૧૬માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેમણે તે મેચ દરમિયાન સદી ફટકારી હતી. આ પછી આશરે એક વર્ષ પછી તેમણે દલીપ ટ્રોફીમાં ડેબ્યૂ કરતા સમયે પણ સદી ફટકારી હતી. તેઓ દલીપ ટ્રોફીમાં ડેબ્યમાં સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર છે.
પાંચ બોલર સાથે ઉતરી શકે છે ભારત
મયંકને ફાઈનલ 12 ખેલાડીમાં પસંદ ન કરવાની સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, ટીમ ઇન્ડિયા પહેલી ટેસ્ટમાં પાંચ વિશેષજ્ઞ બોલરની સાથે મેદાનમાં ઉતરશે. આવામાં શાર્દૂલ ઠાકુરને બહાર બેસવું પડી શકે છે. ઋષભ પંત વિકેટકીપરની ભૂમિકા બજાવશે. તેઓ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા ઉતરી શકે છે.
ભારત ત્રણ સ્પિનરને ઉતારી શકે છે
ભારતીય ટીમ ત્રણ સ્પેશિયલ સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સાથે ઉતરી શકે છે. જયારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં નીચલા ક્રમમાં જાડેજા બેટથી સારું યોગદાન આપવામાં સક્ષમ છે.