મુંબઈ,
ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર અજીત વાડેકરનું ૭૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અજીત વાડેકરે મુંબઈ જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ભારતીય ક્રિકેટના સફળ કેપ્ટનમાંના એક અજીત વાડેકરનો જન્મ ૧ એપ્રિલ, ૧૯૪૧ન રોજ થયો હતો. તેઓએ ભારત માટે ૧૯૬૬ થી ૧૯૭૪ વચ્ચેના સમયગાળા દરમિયાન ૩૭ ટેસ્ટ અને ૨ વન-ડે રમી હતી. અજીત વાડેકરે પોતાની પ્રથમ શ્રેણીની શરૂઆત ૧૯૫૮માં કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજીત વાડેકરના નિધન પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું, “અજીત વાડેકરને ભારતીય ક્રિકેટમાં તેઓના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. એક મહાન બેટ્સમેન અને શાનદાર કેપ્ટન તરીકે તેઓએ અમારી ટીમનું નેતૃત્વ કર્યું અને અમારા ક્રિકેટ ઈતિહાસ માટે યાદગાર પળ આપ્યા હતા. તેઓના એક પ્રભાવશાળી ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓના નિધનથી હું દુઃખી છું.
વર્ષ ૧૯૭૧માં અજીત વાડેકરના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ધરતી પર પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ૩ ટેસ્ટ મેચની શ્રેણીને ભારતે ૧-૦થી જીતી હતી.
આ ત્રણ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ ડ્રો રહી હતી, પરંતુ અંતિમ મેચમાં યજમાન ટીમને ૧૦૧ રનથી હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી. આ શ્રેણીમાં ભારત તરફથી કેપ્ટન અજીત વાડેકરે સૌથી વધુ ૨૦૪ રન બનાવ્યા હતા જયારે એસ વેંકટરાઘવને સૌથી વધુ ૧૩ વિકેટ ઝડપી હતી.