પેન્સિલવેનિયા સુપ્રીમ કોર્ટે મંગળવારે કેથલિક ચર્ચના પાદરીઓ દ્વારા કરવામાં આવેલા યૌન શોષણ પર ગ્રાન્ડ જ્યુરી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 300 થી વધારે પાદરીઓએ વીતેલા 70 વર્ષમાં એક હજારથી વધારે બાળકોનું યૌન શોષણ કર્યું છે. આટલું જ નહિ રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે ચર્ચોએ પાદરીઓના ગુનાઓ ઢાંકવાની કોશિશ કરી હતી.
સ્ટેટ એટર્ની જનરલ જોશ શેપિરોએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રિપોર્ટમાં 1000 થી વધારે પીડિતોની ઓળખાણ કરવામાં આવી છે, પરંતુ ગ્રાન્ડ જ્યુરીને વિશ્વાસ છે કે આ સંખ્યા ઘણી વધારે છે.
વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ અમેરિકાના કેથલિક ચર્ચોમાં યૌન શોષણ પર અત્યાર સુધીનો સૌથી મોટો તપાસ રિપોર્ટ છે. 18 મહિનાઓ સુધી ચાલેલી આ તપાસનું નેતૃત્વ એટર્ની જનરલ જોશ શેપિરો કરી રહ્યા હતા. એમની સાથે હેરિસબર્ગ, પિટ્સબર્ગ, એલેનટાઉન, સ્ક્રેન્ટન, એરી અને ગ્રીન્સબર્ગ જિલ્લાઓના અધિકારીઓ પણ શામેલ હતા.
1400 પન્નાના આ રિપોર્ટમાં જાણવામાં આવ્યું કે પેન્સિલવેનિયા અને વેટિકનમાં ચર્ચના વરિષ્ઠ અધિકારીઓએ આ યૌન શોષણના મામલાઓને છુપાવવાની કોશિશ કરી હતી. શેપિરોએ કહ્યું કે આ મામલાઓને છુપાવવાનું પરિણામ એ છે કે હવે મુકદમો ચલાવવા માટે ખુબ જુના થઇ ગયા છે.
રિપોર્ટ મુજબ, પાદરીઓએ છોકરાઓ અને છોકરીઓ બંનેનું શોષણ કર્યું. રિપોર્ટમાં આપવામાં આવેલા એક ઉદાહરણ મુજબ એલેનટાઉન જિલ્લામાં એક પાદરીને જયારે યૌન શોષણની ફરિયાદ પર પૂછપરછ કરવામાં આવી, તો એમણે એક છોકરાનું શોષણ કરવાની વાત કબુલી, અને કહ્યું કે કૃપા કરી મારી મદદ કરો.
ઘણા પાદરીઓએ રિપોર્ટ જાહેર થતો રોકવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જેથી રિપોર્ટમાંથી એમનું નામ અથવા એવી કોઈ જાણકારી હટાવી દેવામાં આવે જેનાથી એમની ઓળખાણ થઇ શકે.