ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને નોટિંધમમાં રમાયેલા ત્રીજા ટેસ્ટ મેચમાં 203 રને માત આપી છે. આ સાથે જ વિરાટ બ્રિગેડે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતારેલી ટીમ ઇન્ડિયા પહેલી પાળીમાં 329 રન બાનવીને ઓલઆઉટ થઇ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટિમ પહેલી પાળીમાં 161 રન બનાવીને તંબુ ભેગી થઇ ગઈ હતી. આ રીતે ભારતને પહેલી પાળીમાં 168 રનની લીડ મળી હતી.
ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ બીજી પાળીમાં 7 વિકેટે 352 રન બનાવીને ડિક્લેર કર્યું હતું. અને ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 521 રનનું વિશાળ લક્ષ્ય રાખ્યું હતું. પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતારેલી ઇંગ્લેન્ડની ટીમ 317 રનમાં ઓલઆઉટ થઈ જતા ટીમ ઇન્ડિયાએ આ મેચ 203 રનથી જીતી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 21 ચોગ્ગાઓની મદદથી 176 બોલમાં 106 રન બનાવ્યા હતા. ઉપરાંત સ્ટોક્સ સાથે પાંચમી વિકેટ માટે 169 રનની ભાગીદારી કરી હતી.
ઇંગ્લેન્ડને આટલા સ્કોરમાં તંબુ ભેગી કરવામાં જસપ્રીત બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યું. એમણે 85 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ઉપરાંત ઇશાંત શર્માએ બે, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી. અશ્વિને પાંચમા દિવસની ત્રીજી ઓવરના પાંચમા બોલ પર જેમ્સ એન્ડરસનને(11) અજિંક્ય રહાણેના હાથે કેચ ઝડપાવીને ભારતને જીત અપાવી હતી.
જોસ બટલર (106) અને બેન સ્ટોક્સ (62) વચ્ચે પાંચમી વિકેટ માટે થયેલી 169 રનની ભાગીદારી બાદ આદિલ રાશિદ (30*) અને સ્ટુઅર્ટ બ્રોડ (20) વચ્ચે નવમી વિકેટ માટે 50 રનની ભાગીદારીના ચાલતા ઇંગ્લેન્ડે હારને પાંચમા દિવસ સુધી ટાળી હતી.
મેચમાં નિર્ધારિત ઓવર પુરી થયા બાદ ત્રણ ઓવર વધારવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમ યજમાન ટીમને ઓલઆઉટ કરી શકી નહતી.