શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એશિયા કપમાં ટીમનાં ખરાબ પ્રદર્શન બાદ રવિવારે એન્જેલો મૈથ્યુઝને કેપ્ટન પદેથી હટાવીને આગામી ઇંગ્લેન્ડ સામેનાં મેચ માટે એમની જગ્યાએ દિનેશ ચંદિમલને કેપ્ટનની સુકાન સોંપી છે. 31 વર્ષીય ક્રિકેટર મૈથ્યુઝ બોર્ડનાં આ પ્રકારનાં વર્તનથી ઘણાં નારાજ છે. એમને વનડે અને ટી 20 ટીમનાં કેપ્ટન પદથી બરખાસ્ત કરાયા બાદ આ બંને ક્રિકેટ ફોર્મમાંથી સન્યાસ લેવાની મૈથ્યુઝે ધમકી આપી છે.
મૈથ્યુઝે શ્રીલંકા ક્રિકેટને પત્ર લખીને કહ્યું કે એશિયા કપમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે શ્રીલંકાના ખરાબ પ્રદર્શન માટે મને બલીનો બકરો બનાવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે એમણે મૈથ્યુઝને વનડે અને ટી20 ટીમોના કેપ્ટન પદથી રાજીનામું આપવા માટે કહ્યું હતું જેથી ચંદિમલ માટે રસ્તો સાફ થઇ શકે. બોર્ડે પોતાનાં સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે નેશનલ સિલેકટર્સએ મૈથ્યુઝને તાત્કાલિક ધોરણે કેપ્ટન પદ છોડવાનો આગ્રહ કર્યો હતો. જોકે બોર્ડે આ માટેનું કારણ જણાવ્યું ન હતું.
એશિયા કપમાં ટીમનાં ખરાબ પ્રદર્શન બાદ મૈથ્યુઝની કેપ્ટન્સીની ઘણી નિંદા થઇ હતી. શ્રીલંકા ટીમ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે હારીને આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. ચંદિમલ પહેલેથી જ ટેસ્ટ ટીમનાં કેપ્ટન હતા અને હવે તેઓ ત્રણેય ફોર્મમાં કેપ્ટન પદ સંભાળશે.