આવતા વર્ષ 2019થી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર છે. રાજ્ય શિક્ષણ બોર્ડ વિચારણા કરી રહ્યું છે કે ખુબ માર્ક અપાવતા 50 માર્કના ઓએમઆર પેપર પરીક્ષા પદ્ધતિ બંધ કરવામાં આવે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્ય શિક્ષણ વિભાગને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એનસીઇઆરટી નો અભ્યાસક્રમ અને કેન્દ્રીય બોર્ડની પરીક્ષા પેટર્નનો એસએસસી અને એચએસસીની પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શક્ષણ બોર્ડ ના પ્રસ્તાવ પર સરકાર સક્રિય વિચારણા કરી રહી છે. આ નિર્ણયને ટૂંક સમયમાં જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. રાજ્ય શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે એનસીઇઆરટી નો અભ્યાસક્રમ હાલના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 અને ધોરણ 11 માં ઉપયોગમાં લેવામાં આવે છે.
ઓએમઆર પેપરમાં સામુહિક ચોરી થવાના બનાવો સામે આવ્યા બાદ સરકારે સીબીએસસીની પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે 2019થી ધોરણ 10 અને ધોરણ 12માં પણ એનસીઇઆરટી નો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધિકારીઓએ સ્વીકાર્યું કે સીબીએસસી પરીક્ષા પદ્ધતિ લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ મોટા પ્રમાણમાં મળતી સામુહિક ચોરી ની ફરિયાદો છે. આ વર્ષે સામુહિક ચોરીના 450 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં ઓએમઆર પેપરમાં વિદ્યાર્થોએ 45-50 માર્ક મેળવ્યા હતા, જયારે વર્ણનાત્મક પરીક્ષામાં 5 માર્ક મેળવવાના પણ ફાંફા પડતા હતા.
2017 અને 2016માં સામુહિક ચોરી નો આંકડો 650 અને 553 હતો. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ અને એક્સ્ટર્નલ બંને પરીક્ષામાં પાસ થવું પડશે. કારણ કે સીબીએસસી પરીક્ષા પદ્ધતિમાં બોર્ડની પરીક્ષામાં ગુણભાર 80 માર્ક અને ઇન્ટરનલ પરીક્ષાના 20 માર્ક ગણવામાં આવે છે. વિદ્યાર્થીને ઈન્ટર્નલમાં જો સારા માર્ક હોય, તો પરીક્ષા પાસ કરવી ખુબ સરળ રહેશે.