ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં હવે ચોથા દિવસની રમત પણ પૂર્ણ થઈ ગઈ છે. દિવસની રમતનાં અંતે ટીમ ઈન્ડિયાએ 181 રન બનાવ્યા છે, પરંતુ સમસ્યા એ છે કે ભારતનાં સાત બેટ્સમેન પણ આઉટ થઈ ગયા હતા. દિવસની રમતનાં અંતે રિષભ પંત 14 રન અને ઈશાંત શર્મા ચાર રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા હતા.
આ પણ વાંચો – Cricket / લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લિશ Fan ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં આવીને કરવા લાગ્યો ફિલ્ડિંગ
ટીમ ઈન્ડિયાની લીડ હવે 154 રનની છે, પરંતુ જે રીતે મેચ ચાલી રહી છે અને ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જે રીતે બેટિંગ કરી છે, એવું નથી લાગતું કે આ રન પૂરતા હશે. હવે માત્ર એક દિવસની રમત બાકી છે. સીરીઝની પ્રથમ મેચ વરસાદનાં કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. હવે જે પણ ટીમ આ મેચ જીતશે તેને શ્રેણીમાં લીડ મળશે. સોમવારે એટલે કે આજે હજુ 90 ઓવર બાકી છે. આવી સ્થિતિમાં ભારતને પોતાની હાર બચાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. ભારતે લંચ પહેલા ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. લંચ બાદ ચેતેશ્વર પૂજારા 45 રન અને અજિંક્ય રહાણેનાં 61 રને ટીમને વધુ નુકસાન થવા દીધું ન હતું. પ્રથમ સત્રમાં આઉટ થયેલા લોકોમાં પ્રથમ દાવમાં સદી ફટકારનાર લોકેશ રાહુલ માત્ર પાંચ રન બનાવી શક્યો હતો, જ્યારે રોહિત શર્મા 21 રન બનાવી શક્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ 20 રનમાં આઉટ થયો હતો. ત્રીજા સત્રમાં પુજારા અને રહાણેની વિકેટ પડી હતી. મોઈન અલીએ રહાણેને આઉટ કર્યો હતો જ્યારે પુજારાને માર્ક વુડ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ સિવાય ભારતે આ સત્રમાં રવિન્દ્ર જાડેજાની વિકેટ પણ ગુમાવી હતી, જે ત્રણ રન બનાવીને મોઈનનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચો – Cricket / લોર્ડ્સનાં મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલ પર દર્શકોએ ફેંક્યા શેમ્પેઈનનાં ઢાંકણ અને પછી…
આ પહેલા માર્ક વુડે રોહિત અને રાહુલને પણ આઉટ કર્યા હતા જ્યારે સેમ કરને કેપ્ટનને આઉટ કર્યો હતો. આ પહેલા ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 364 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 394 રન બનાવીને લીડ મેળવી હતી. હવે જો કે ભારતે આગેકૂચ કરી લીધી છે અને 154 રનની લીડ મેળવી છે, પરંતુ તેની લગભગ તમામ મહત્વની વિકેટ આ ક્રમમાં પડી ગઇ છે. અત્યારે માત્ર રિષભ પંત એકમાત્ર બેટ્સમેન છે જે લાંબા સમય સુધી ક્રિઝ પર રહી શકે છે.