ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની 21મી કડી બુધવાર તા. 26 જૂન થી શુક્રવાર તા.28જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. 26મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે.
મુખ્યમંત્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં 24 બાળકોને ધોરણ-1માં,21 બાળકોને બાલવાટિકામાં અને 7 ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રી બીજા દિવસે તા. 27 જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-1ના કુલ મળીને 369ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
તદ અનુસાર વિધાનસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડકો પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે, તેમાં માનનીય બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ખાતે, કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં, રમણભાઈ સોલંકી આણંદ ખાતે અને વિજયભાઈ પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ-૧માં પ્રવેશપાત્ર ૩.૬૨ લાખ, ધોરણ-8 થી 9માં પ્રવેશપાત્ર 10.૩૫ લાખ અને ધોરણ-10 થી 11માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.
આ પણ વાંચો: અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં વેપારીએ બેન્કને ચૂનો લગાવ્યો
આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ટીમ એલર્ટ