મજૂરા ગેટ વિસ્તારમાં આવેલી આઈસીસી બિલ્ડિંગમાં સીએની ઓફિસમાં ઓડિટનું કામ કરતા એકાઉન્ટન્ટ યુવકે ચોથા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા મોત થયુ હતું. તેના હાથ પર ઉઝરડાના નિશાનથી મોત અંગે શંકા-કુશંકાઓ ઉભી થઇ છે.
પરિવારે એકનો એક દીકરો ગુમાવાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. નવી સિવિલથી મળેલી વિગતો મુજબ મૂળ ભરૃચના શુકલતીર્થનો અને હાલમાં જહાંગીરપુરામાં સૂરજ સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષીય જયમીન દેવેન્દ્ર રાજ લગભગ સાત મહિનાથી મજૂરા ગેટ વિસ્તારમાં આવેલી આઇસીસી(ઈન્ટરનેશનલ કોમર્શીયલ સેન્ટર )બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી એસએસએઆરપી એન્ડ એસોસિએટ નામની સીએની ઓફિસમાં ઓડિટનું કામ કરતો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તે બે દિવસથી રજા પર હતો અને આજે જ નોકરી પર પરત ફર્યો હતો. કર્મચારીઓ સાથે વાતચીત કર્યા બાદ તે ઓફિસની બહાર નીકળ્યો હતો અને એકાએક ચોથા માળેથી નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જયમીનના હાથ પર ઉઝરડાંના નિશાન મળી આવ્યા હતા. જોકે, પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચુ કારણ સામે આવશે. હાલ તો મોતનુ રહસ્ય અકબંધ રહેતા તેના મોત અંગે શંકા કુશંકાઓ ઉભી થઇ છે. તેણે આપઘાત કર્યો કે અકસ્માત હતો કે પછી કોઇએ ધક્કો માર્યો છે..? વગેરે અનેક પ્રકારનાં આ સવાલોના જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મળી શકશે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.