રાજકોટમાં કોરોનાના કેસ નજીવો ઘટાડો થયો છે તેમ છતાં મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે.રાજકોટમાં 24 કલાકમાં 59 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 62 દર્દીના મોત થયા જે પૈકી 11 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.આજે બપોર સુધીમાં નવા 168 કેસ નોંધાયા છે શહેરમાં કુલ કેસની સંખ્યા 36606 પર પહોંચી છે. તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં 3544 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 514 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.સિવિલમાં લેબટેકનિશિયનોએ હવે કાયમી કરવાની માગ સાથે હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
નામાંકિત ડોક્ટર પી.ટી પાલાનુ કોરોના કારણે નિધન
રાજકોટના અગ્રણીઓને કોરોના એક બાદ એક નિશાન બનાવી રહ્યો છે. ગઈકાલે રાત્રે શહેરના નામાંકિત ડોક્ટર પી.ટી પાલાનુ કોરોના કારણે નિધન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
20 દિવસમાં 12254 લોકોએ કોરોનાને હરાવ્યો
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો તંત્રના ચોપડે દેખાયો છે આ સાથે જ કોરોનાને લગતી અન્ય સેવાઓમાં પણ ધસારો ઘટતા લોકો અને તંત્ર બંનેએ રાહતનો શ્વાસ લીધો છે. નવા કેસ કરતા હવે ડિસ્ચાર્જની સંખ્યા વધી છે તા. 15 એપ્રિલથી અત્યાર સુધીમાં 12254 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે તેની સામે નવા દર્દીઓની સંખ્યા 8521 જ છે એટલે કે ડિસ્ચાર્જ રેશિયો પણ હવે વધી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર કેસ ઘટ્યા છે તેમજ લોકોને રાહત થઈ છે તેના સૌથી મોટા બે માર્કર છે જેમાં ઓપીડી અને આઈપીડી કેસ તેમજ 104 સેવા છે.
તા. 06/05/2021 ના કુલ ટેસ્ટ :- 7725, કુલ પોઝિટિવ :- 526
કુલ પોઝિટિવ :- 526
પોઝિટીવ રેઈટ :- 6.81 %
કુલ ડીસ્ચાર્જ :- 514
આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 168
કુલ પોઝિટિવ કેસ :- 36606
કુલ ડિસ્ચાર્જ : 32673
રિકવરી રેઈટ : 89.66 %
કુલ ટેસ્ટ :- 1040498
પોઝિટિવિટી રેઈટ :- 3.50 %
બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 5905 લોકોએ કોરોના વેકસીન લીધી
રાજકોટ શહેરમાં આજે તા. 07/05/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2307 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3598 સહિત કુલ 5905 નાગરિકોએ રસી લીધી.
સિવિલ હોસ્પિટલમાં સોની સમાજ સિવિલમાં દર્દીઓ અને તેના સગા માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગા માટે અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. ભાજપના આગેવાન ઉદય કાનગડ, સોની સમાજના અગ્રણી દિલીપભાઇ સોની દ્વારા લોકોમાં નિશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે હાયફાઇ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બૂફે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. સિવિલની બહાર ચા-પાણી, નાસ્તો અને જમવાની વય્વસ્થા કરવામાં આવી છે. રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયાએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો છે.
સિવિલમાં લેબટેકનિશીયનોએ પણ હડતાળની ચિમકી
આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના લેબ ટેકનિશીયનો અને લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓે હડતાળની ચિમકી ઉચ્ચારી છે. તેઓએ જણાવ્યું હતું કે, 2012-13ની સીધી ભરતી દ્વારા અમારી નિમણુંક કરવામાં આવી છે. 8 વર્ષ પૂર્ણ થયા પણ હજી કાયમી નિમણુંક કરાઇ નથી. કોરોના મહામારીમાં 1 વર્ષથી અમે રાત-દિવસ એક કરીને અને અમારા પરિવારની પણ ચિંતા કર્યા વિના કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ. જો અમને ન્યાય નહિ મળે તો 17 મેથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા સિવાય અમારી પાસે બીજો કોઇ ઉપાય નથી.