આણંદ
આણંદના સૈયદપુરા ગામમાં જાનવર કોણ માણસ કે દીપડો, આ અંગે સવાલો ઉભા થયા છે. હકીકતમાં, જીલ્લાના સૈયદપુરા ગામના સીમ વિસ્તારમાં જંગલી જાનવર દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં ત્રણેય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વનવિભાગ તથા આણંદની નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાના તમામ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરાઈ હતી અને ૬ કલાકની ભારે જહેમત બાદ દીપડાને પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ ઘટના સ્થળે ઉપસ્થિત કેટલાક લોકોએ દીપડાને પકડયા બાદ પણ લાકડીઓ વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું.
બીજી બાજુ આ વાત ઘણી દુ:ખની કહી શકાય છે, જાનવર તો જાનવર હોય છે પરંતુ આજે માણસ પણ પોતાની માનવતા છોડી પોતે જાનવર કરતા પણ વધુ ક્રુર બની ગયો અને લુપ્ત થતી જતી દીપડાની જાતીના વારસદારની ક્રુર હત્યા કરી હતી. તેથી આ ઘટના પરથી સવાલ એ પેદા થાય છે કે જાનવર કોણ?