આપ પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર કેસમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સિસોદિયા વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસ પર પોતાનો ચુકાદો આપતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી. આ સાથે કોર્ટે નિર્દેશ આપ્યા છે કે સિસોદિયા સામેનો કેસ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવે. અને જો ટ્રાયલ પ્રક્રિયા ધીમી રહેશે તો સિસોદિયા ત્રણ મહિનામાં ફરીથી જામીન માટે અરજી કરવા માટે હકદાર બનશે.
સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવતા તેમણે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેસની સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ નથી બન્યો. ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નક્કર નથી. અને સીબીઆઈ પણ ભ્રષ્ટાચારનો ગુનો સાબિત કરી શકી નથી. જો આ રીતે જોવામાં આવે તો ઇડીનો કેસ પણ બહાર ન આવી શકે. આ દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ એડિશનલ સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કે જો લાંચ કેસમાં અપરાધનો કોઈ સંકેત નથી, તો પીએમએલએ કેસ સાબિત કરવો મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે ED અને CBIના વકીલને ટકોર કરી કે તમે આગાહીના આધારે આગળ વધી શકતા નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે એકવાર ચાર્જશીટ દાખલ થઈ જાય પછી તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો. કોઈને પણ અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં. 26 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ દારૂ કૌભાડંમાં કથિત સંડોવણી હોવાની શંકાના આધારે મનીષ સિસોદિયાની ધરપકડ કરી. જેના બાદ EDએ સીબીઆઈ એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે તિહાર જેલમાં પૂછપરછ કર્યા પછી સિસોદિયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ કૌભાંડમાં કથિત સંડોવણી મામલે CBI અને EDએ કેસ કરતા ફેબ્રુઆરી મહિનાથી જેલમાં છે. 17 ઓક્ટોબરે જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેના બાદ આજે 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર ચાલી રહેલ કેસની સુનાવણીમાં કોર્ટ તેમની જામીન અરજી ફગાવતા સિસોદિયા હજુ પણ જેલમાં જ રહેશે.
આ પણ વાંચો : Andhra Train Accident/ આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, 12 ટ્રેનો રદ, 15 ડાયવર્ટ, વળતરની કરાઈ જાહેરાત
આ પણ વાંચો : આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે
આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ અમેરિકાના લેવિસ્ટન શહેરમાં ભીષણ ગોળીબારમાં 22ના મોત