વડોદરા,
માત્ર 3 કલાકમાં 12 હજારથી વધુ નારિયેળ ફોડવાની કેરળમાં વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરાને કેરળની બહાર દેશમાં પ્રથમ વખત વડોદરામાં ઉજવવામાં આવી હતી.
શ્રીફળનાં ઢગલાની વચ્ચે બેસી ઢોલ નગારાનાં તાલ પર શિવજીનાં મંત્રોચ્ચાર વચ્ચે એક પછી એક નારિયેળ હાથમાં લઇ તેને પથ્થર પર ફોડવાની આ અનોખી ધાર્મિક પરંપરાનું નામ છે ‘વેત્ટકોરમકન’. ભગવાન ભોળાનાથને રિઝવવા આ પ્રકારનાં અનોખા રીતરિવાજો સાથેની પારંપરિક પૂજા સામાન્ય રીતે કેરળમાં જોવા મળે છે.
જ્યાં આ વેત્ટકોરમકન ઉત્સવ લગભગ 300 થી પણ વધારે વર્ષોથી ઉજવવામાં આવે છે. પરંતુ કેરળની બહાર દેશમાં આ પ્રકારની પૂજા પ્રથમ વખત વડોદરામાં કરવામાં આવી.
વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય કેરાલિયન સમાજ દ્વારા શહેરનાં સમા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મંદિર ખાતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભગવાન શિવજીનાં મંત્રોચ્ચાર વચ્ચે એક પછી એક 12008 નારિયેળ ફોડી ભોળાનાથની આરાધના કરવામાં આવી. ભગવાન શિવની આ અનોખી પૂજા આરાધનાનાં વિશેષ અવસરે મોટી સંખ્યામાં કેરાલિયન નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.