રેલ્વે મારફતે તમે ઘણીવાર મુસાફરી કરી હશે અને ત્યારે તમે રેલ્વે સ્ટેશનો પર થતું અનાઉન્સ મેન્ટ સાંભળ્યું પણ હશે કે રલવે તમારી સંપતી છે. હવે આ વાતને અમુક લોકો વધારે જ ગંભીરતાથી લઇ લે છે. જે આંકડા બહાર આવ્યા છે એના પરથી સાબિત થાય છે કે અમુક મુસાફરો યાત્રા દરમ્યાન સાચે રેલવેને પોતાની સંપતી માનીને વસ્તુઓ પોતાની સાથે લઇ જાય છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગયા નાણાકીય વર્ષમાં 1.95 લાખ ટુવાલ લાંબી મુસાફરીની ટ્રેનોમાંથી ચોરી લેવામાં આવ્યા હતા. આટલું જ નહી, 81,736 ચાદરો, 55,573 તકિયાના કવર, 5,038 તકિયા અને 7,043 ધાબળા પણ ચોરી થઇ ગયા છે. આ સિવાય 200 ટોઇલેટ મગ, 1000 નળ અને 300 થી વધારે ફ્લશ પાઈપ પણ દર વર્ષે ચોરવામાં આવે છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીએ જણાવ્યું કે એપ્રિલ થી સપ્ટેમ્બર 2018 ની વચ્ચે 79,350 ટુવાલ, 27,545 ચાદર, 21,050 તકિયાનાં કવર, 2,150 તકિયા અને 2,065 ધાબળા ચોરાઈ ગયા છે જેની કુલ કિંમત લગભગ 62 લાખ રૂપિયા હતી.
એવું જાણવા મળ્યું છે કે પાછલાં ત્રણ નાણાકીય વર્ષોમાં ભારતીય રેલવેને 4000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે જેમાં મોટું નુકશાન માત્ર ચોરી થયેલાં સામાનને કારણે થયું છે. ચાદર અને બીજી એવી વસ્તુઓનું નુકશાન કોચ એટેન્ડન્ટએ ભરવું પડે છે જયારે બાથરૂમના સામાનની ભરપાઈ રેલ્વેને કરવી પડતી હોય છે.
દરેક બેડશીટની કિંમત 132 રૂપિયા, ટુવાલની કિમત 22 રૂપિયા અને તકીયાની કિમત 25 રૂપિયા હોય છે. સુત્રોના જણાવ્યા મુજબ દરેક યાત્રી સામાન પરત કરે એ જોવાની જવાબદારી કોચ એટેન્ડન્ટની હોય છે. અમુક ટ્રેનોમાં તો સેન્સર ટેપ અને સીસીટીવી જેવી સુવિધાઓ પણ હોય છે તેમ છતાં વસ્તુઓ પહેલી યાત્રા પૂર્ણ થવા સુધી પણ ટકી શકતી નથી.