એપ્રિલના પ્રારંભે સૂર્યદેવ અગ્નિવર્ષા વરસાવી રહ્યા છે ત્યારે ઉનાળાના આકરા તાપથી બચવા લોકો નવા નવા પ્રયોગોકરતા હોય છે. લીંબુ સરબત,ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ગોલા-કુલ્ફી શેરડીનો રસ વગેરે ખાવા-પીવાનું ચાલુ કરી દે છે. ઉનાળાની સખત ગરમીમાં શરીરને ઠંડક આપવા અને તાજગી -સ્ફૂર્તિમય બનાવવા શેરડી સર્વોત્તમ છે. શેરડી ખાવી કે શેરડીનો રસ પીવો ખૂબ જ ગુણકારી છે.
ઉનાળો શરૂ થયા પૂર્વે જ ઠેર ઠેર રસના ચીચોડા શરૂ થઈ જાય છે. મોટાભાગે લોકો બપોર પછીના કે રાત્રીનાં સમયે શેરડીનો રસ પી ઠંડકતા પ્રાપ્ત કરે છે. શુધ્ધ શેરડીનો રસ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.
શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછુ હોય હાર્ટની બીમારીઓથી બચી શકાય છે. તેમજ ભરપૂર માત્રામાં કેલ્શીયમ હોય હાડકા પણ મજબુત બને છે.શેરડીના રસમાં આર્યન હોયજેથી લોહીની કમી દૂર થાય છે. શેરડી ખાવાથી દાંત મજબુત બને છે. સાથોસાથ પેઢાની તકલીફ પણ દૂર થાય છે. તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની તુલના થાય છે.કારણ કે શેરડી ચુસવાથી કે રસ પીવાથી તરત જ તાજગીનો અનુભવ થાય છે. અને સ્ફૂર્તિ મળે છે. શેરડીનો રસ એક એનર્જી ડ્રીંક છે. અને તેમાં ગ્લુકોઝનું પ્રમાણ ભરપૂર હોવાથી શકિત મળે છે. ગરમીનાં કારણે ચકકર આવતા હોય કે ડિહાઈડ્રેશનની તકલીફ જણાય તેવા સંજોગોમાં શેરડીનો રસ પીવાથી ઘણી રાહત મળે છે. મોટાભાગે શેરડી જમ્યા પહેલા ખાવી વધુ લાભદાયી છે. કારણ કે તેનાથી પીતનો નાશ થાય છે.