ગુજરાત ચૂંટણીના પડધમ શરૂ થતાની સાથે જ રાજ્યમાં રાજકીય રંગમાં વિવિધતા જોવા મળી રહી છે. પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાવવાની બાબત જાણે સામાન્ય બનતી જાય છે. જેમાં કોંગ્રેસ માટે તો કપરી સ્થિતી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ કહેવાતા નેતા મોહનસિંગ રાઠવા જેઓ કોંગ્રેસનાં 11 ટર્મથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ઉપરાંત આદિવાસી દિગ્ગજ નેતા તરીકે તેમનું બહુમાન છે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી બીજેપીમાં જોડાવા જઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કોગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જગદીશ ઠાકોરને રાજીનામુ મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તે ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે. આજે સાંજે સત્તાવાર રીતે ભગવો ધારણ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસમાં દિગ્ગજ નેતા એવા મોહનસિંહ રાઠવા અગાઉ પોતે નિવૃતીની જાહેરાત કરી હતી. જો કે અચાનક હવે તેઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. છોટાઉદેપુર સીટ પરથી મોહનસિંહ રાઠવાના પુત્રને ભાજપ ટિકિટ આપી શકે છે. રાજુ રાઠવા પણ તેમની સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તો બીજી બાજુ ભાજપ ખાસ કરીને પીએમ મોદી હાલ આદિવાસી રાજનીતિમાં ખાસ રસ લઇ રહ્યા છે ત્યારે ભાજપ માટે આ ખુબ જ મોટી તક માનવામાં આવે છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતાએ ભાજપનો હાથ પકડ્યો છે. તો પ્રશ્ન એ પણ થવો સ્વાભાવિક છે કે ભાજપ ત્યાના સીટિંગ એમએલએ સી.કે રાઉલજીનું શું કરશે. તેમનો અસંતોષ કઇ રીતે ડામશે તે પણ એક પડકાર છે.
હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસને હજુ કેટલા માઠા સમાચારોનો સામનો કરવો પડશે.