કોરોના સામે જીતવા એક માત્ર ઉપાય વેક્સીનેશન છે ત્યારે 21 જૂન વિશ્વ યોગ ડે થી ગુજરાતમાં પણ શરૂ થશે વેક્સીનેશન મહાઅભિયાન. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ છે. બીજી લહેરના અંતે કોરોનાના ઘટતાં જતાં ગ્રાફથી સરકાર અને વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. પરંતુ ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ વ્યક્ત કરેલાં અભિપ્રાયથી માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિશ્વ પણ આજે ચિંતા અનુભવી રહ્યાં છે. આ સંજોગોમાં કોરોના સામે રક્ષણ મેળવવાનો એક માત્ર અકસીર ઇલાજ જો હોય તો તે માત્ર ને માત્ર રસીકરણ જ છે. આ જ હેતુ ગુજરાત સાથે સમગ્ર દેશ ઝડપથી કોરોના મુક્ત બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી વિનામૂલ્યે રસીકરણ માટે કેન્દ્રસરકારના આયોજનની જાહેરાત કરી છે. ગુજરાતમાં 21 જૂનથી રસીકરણ મહાઅભિયાનનો પ્રાંરંભ થશે.
ગુજરાતમાં 5 હજાર રસીકરણ કેન્દ્રો પરથી વોક ઇન વેક્સીનેશન મહાઅભિયાન માટે આયોજન થયું છે. મહાઅભિયાનમાં વિવિધ રસીકરણકેન્દ્રો ઉપર એકહજાર પચીસ જેટલાં મહાનુભાવો ઉપસ્થિત રહીને રસીકરણ અભિયાનને સફળ બનાવશે. ગુજરાતમાં આયોજીત વિનામૂલ્યે રસીકરણ મહાઅભિયાનમાં સામેલ થઇને કોરોના મુક્ત ગુજરાત સાકાર કરીએ.