કચ્છમાં તાઉતે વાવાઝોડાની આફત ટળી છે. જોકે આજે સરકારના નિર્દેશ પ્રમાણે જિલ્લામાં રસીકરણની કામગીરી બંધ રહી છે. પરંતુ યુવાઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે દરરોજ સાંજે 6 કલાકે ક્ચ્છ જિલ્લા પંચાયત દ્વારા વેકસીનના સ્લોટ ઓપન કરવામાં આવે છે.
જિલ્લાના દસ તાલુકામાં રોજ 1 સાઇટ ઓપન થાય છે જિલ્લામાં રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ ઘણો છે. પણ સેશન મર્યાદિત હોવાથી લોકોને લાભ મળી શકતો નથી. ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં સપ્તાહ – દસ દિવસે માંડ વારો આવે છે. વાવાઝોડાના કારણે જિલ્લામાં સોમવારથી રસીકરણ બંધ છે. પણ આ ત્રણ દિવસો દરમિયાન રસી માટે નોંધણી કરાવનારા લોકોને પછીના દિવસે રસી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી.
પરિણામે લોકોને ફરી મહા મહેનતે રસી માટે સ્લોટ બુક કરવા પડશે જિલ્લા પંચાયતના આ નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા છે. અલબત્ત જિલ્લા રસીકરણ અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, હાલ જિલ્લામાં રસીના ડોઝ ઉપલબ્ધ છે. સરકારની સૂચના પ્રમાણે રસીકરણ શરૂ થશે રસી લેવા માટે લાભાર્થીઓએ ફરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે જે માટે સ્લોટ હવે બહાર પડશે.