ગુજરાત પર ત્રાટકેલા ‘તાઉ-તે’ વાવાઝોડાની માઠી અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જોવા મળી છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાંથી તારાજીની તસવીરો સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે સિંહો ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સોશલ મીડિયા પર એવા સમાચારો પણ વહેતાં થયા હતા. જોકે, વન વિભાગે આ વાતને નકારી કાઢી છે અને આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે.
વન વિભાગે સિંહ ગુમ થવાની વાતને અફવા ગણાવી છે. આ અંગે જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યુંકે, કોઈ પણ સિંહો ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી સિંહોની સુરક્ષા માટે તમામ પગલાં લેવાઈ રહ્યાં છે.
આ પણ વાંચો :લીંબડી તાલુકામાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકસાન, અંદાજે 25 લાખથી વધુનાં નુકસાનની આશંકાઓ
ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા અંગેની વાત વહેતી થઈ હતી. આ મુદ્દે વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત થયુ નથી કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયુ નથી.
જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી. ટી.વસાવડાએ જણાવ્યુંકે, સૌરાષ્ટ્રમાં માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે. એટલું નહીં રાજ્યના અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહીત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં. અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું.
આ પણ વાંચો :અમરાઇવાડી શિવાનંદનગરમાં નવજાત બાળકીનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો
વસાવડાએ જણાવ્યુંકે, મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.
એશીયાટિક સિંહોના એક માત્ર રહેઠાણ એવા ગીર જંગલનો વિસ્તાર સૌરાષ્ટ્ર જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર ચાર જીલ્લામાં પથરાયેલો છે. ચારેય જીલ્લામાં સિંહોની અવર-જવર જોવા મળવાની સાથે વસવાટ માટેના રહેઠાણ સ્થળો આવેલા છે. ગીર જંગલમાં છેલ્લી સિંહ ગણતરી મુજબ 600 જેટલા સિંહો જંગલમાં છે.
ગીર જંગલના જુદા જુદા વિસ્તારોમાં સિંહ-સિંહણ તેમના બચ્ચા બાળ સિંહો સાથે ગ્રુપ બનાવી રહે છે. જે પૈકીના અમુક સિંહોનું ગ્રુપ ગીર સોમનાથ, અમરેલી જીલ્લાના દરીયાકાંઠાના વિસ્તારમાં વસવાટ કરી રહેલ છે. દરમ્યાન ત્રણ દિવસ પૂર્વે તૌક-તે વાવાઝોડુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લાના દરીયાકાંઠે ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેના પગલે તમામ વિભાગોએ સર્તકતાની કામગીરી હાથ ઘરી હતી.
આ પણ વાંચો :તાઉતે વાવાઝોડાની આંશિક અસર તળે સમગ્ર કચ્છમાં કેસર કેરીના પાકને ભારે નુકસાન