સાવલી,
જ્યારે ગતિશીલ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કેટલું કથળેલું છે, તેનો વરવો દાખલો સામે આવ્યો છે, સાવલી તાલુકાનાં વસનપુરામાં બાળકો ભણવા તો માંગે છે પરંતુ એકથી પાંચ ધોરણની આ શાળા જર્જરીત છે.
તેથી બાળકોને ખુલ્લામાં ઝાડ નીચે ભણવાનો વારો આવ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યુ નથી. ત્યારે ગામલોકો સહિત શાળાના શિક્ષકો અને બાળકો પણ રાહ જોઈ રહ્યા છે નવી શાળાની.
સાવલી તાલુકની વસનપુરા ગામ 2000ની વસ્તી ધરાવતા આ ગામમાં 1918માં પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. જેની હાલત આજે જર્જરીત થઈ ગઈ છે. શાળાના ઓરડામાં છત ઉપરથી પોપડા ઉખડે છે અને ઠેર ઠેર તિરાડો પડેલી જોવા મળી રહી છે.
એકબાજુ સર્વશિક્ષા અભિયાનને લઈને કરોડો રુપિયાના ધુમાડા કરવામાં આવે છે. જ્યારે સાવલીના વસનપુરામાં કંઈક અલગ જ જોવા મળે છે. માસુમ ભૂલકાંઓને એક ઝાડ નીચે ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે.
મુખ્ય શિક્ષક દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ દ્વારા તેમને માત્ર નવી શાળા બનાવવાનાં ઠાલા વચનો આપવામાં આવ્યા છે. શાળા ન હોવાને કારણે શિક્ષણ બગડી રહ્યું હોવાનું શિક્ષકો પણ કાબુલી રહ્યા છે.
ગામના સરપંચ અલ્પેશ રાયે જણાવ્યું કે આ અંગે અનેક રજૂઆત કરી છે. છતાં કોઈ પરિણામ ન આવવાને કારણે માનવતા ના ધોરણે બાળકોને કોમ્યુનીટી હોલમાં બેસાડવાની વ્યવસ્થા કરી છે. બાળકોને જર્જરિત શાળાથી ક્યારે છુટકારો મળશે તે એક સૌથી મોટો સવાલ છે.
વડાપ્રધાન સુધી આ સમસ્યાની રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ નથી આવ્યું ત્યારે ખુલ્લામાં ભણતા બાળકો સાથે કઈક અકસ્માત થશે તો જવાબદાર કોણ ? જ્યારે ગતિશીલ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નું સ્તર કેટલું કથળેલું છે તેનો વરવો દાખલો સામે આવ્યો છે.