ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટમાં સંકટના વાદળો ઘેરાયા છે. માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના જુનિયર ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આ સમયે અમે એ નક્કી કરી શકતા નથી કે મેચ થશે કે નહીં. ફિઝિયો યોગેશ પરમાર કોરાના પોઝિટિવ આવવાના કારણે ભારતીય ટીમે મેચ પહેલા તેનું પ્રેક્ટિસ સત્ર પણ રદ કરવું પડ્યું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં શુક્રવારથી 5 મી ટેસ્ટ મેચ રમાવાની છે.
“અમને ખબર નથી કે આ સમયે મેચ થશે કે નહીં. આશા છે કે અમને થોડી રમત મળશે,” ગાંગુલીએ કોલકાતામાં ‘મિશન ડોમિનેશન’ના પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું. ખેલાડીઓના RT-PCR ટેસ્ટના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ચેપ લાગ્યા બાદ ચીફ ફિઝિયો નીતિન પટેલ ક્વોરેન્ટાઈન પર છે. ટીમ ઈન્ડિયા પાસે હવે પરમાર સાથે સિંગલ ફિઝિયો છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આરટી પીસીઆર ટેસ્ટનું આવશે પછી તેના આધારે મેચનો નિર્ણય લેવામાં આવશે. ખેલાડીઓને પોતપોતાના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને RT PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કિર્વી શાસ્ત્રી સિવાય ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિઝિયો નીતિન પટેલ લંડનમાં આઇસોલેશનમાં છે. ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે મેચ જીતતી વખતે ટીન તેની સાથે એકમાત્ર બેટિંગ કોચ વિક્રમ રાઠોડ હતો.
ભારત હાલમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે ઓવલ ખાતે ઇંગ્લેન્ડને 157 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ જીતી. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શાર્દુલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે ભારત માટે સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની મોટી તક છે.