પ્રથમ તબક્કાના મતદાન પહેલા બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે આરપારની ટક્કર જોવા મળી રહી છે. એક તરફ મમતા પોતાને ઘાયલ વાઘણ ગણીને ભાજપ પર પ્રહારો કરી રહી છે તો બીજી તરફ ભાજપ પણ આક્રમક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે તેમને ઝારગ્રામમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમનું હેલિકોપ્ટર બગડી ગયું હતું. શાહે બાંકુરામાં એક રેલીને સંબોધિત કરતાં મમતા બેનરજીને ટોણો મારતા કહ્યું કે આજે મારુ હેલિકૉપ્ટર ખરાબ થઇ ગયું પરંતુ તેને હું ષડયંત્ર નહીં કહું. શાહે કહ્યું કે ચૂંટણી પંચ કહી રહ્યું છે કે તેમને (મમતાને) થયેલી ઇજા એક એક્સિડન્ટ હતો, જ્યારે મમતા બેનર્જીનું કહેવું છે કે આની પાછળ ષડયંત્ર હતું.
અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીના પગમાં ઇજા થઇ પરંતુ કેવી રીતે થઇ તેની ખબર નથી.દીદી તમે આખા બંગાળમાં વ્હીલચેર પર ફરી રહ્યા છો. પોતાના પગની ચિંતા છે પરંતુ અમારા 130 કાર્યકર્તાઓની માતાઓ માટે કોઇ દર્દ નથી, જેના બાળકોને મારી નાંખવામાં આવ્યા. ગૃહમંત્રીએ ઝારગ્રામમાં રેલીને વર્ચ્યુઅલી જ સંબોધિત કરી હતી. શાહે રેલીને સંબોધિત કરતાં કહ્યું કે ટીએમસી છેલ્લા 10 વર્ષના શાસનમાં બંગાળને પાતાળમાં પહોચાડી દીધું છે. મમતાની સામે ગર્જના કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. તુષ્ટીકરણ, ટોલાબાજી અને ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. હિંદુઓને તહેવાર મનાવવા માટે કોર્ટમાં જવું પડે છે. આવી સરકારને ઉખાડીને ફેકી દેવી જોઇએ.