લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી BJP અને TMC વચ્ચેની જંગ હજુ પણ યથાવત છે. આ જંગનો ભોગ હાલમાં પોસ્ટ ઓફિસ બની રહી છે. જ્યા છેલ્લા ઘણા સમયથી સાઉથ કોલકતામાં સ્થિત કાલીઘાટ પોસ્ટ ઓફિસમાં હજારો પોસ્ટકાર્ડોનો પહાડ એકઠો થઇ ગયો છે. આ પોસ્ટકાર્ડ પર જય શ્રી રામ લખેલુ છે જે મમતા બેનર્જીને મોકલવા માટે યોજનાબદ્ધ કરવામાં આવેલુ પગલુ છે. મમતા બેનર્જીનું ઘર આ પોસ્ટ ઓફિસનાં કાર્યક્ષેત્રમાં આવે છે.
પોસ્ટ ઓફિસ વિભાગનાં કર્મચારીઓ માટે પોસ્ટકાર્ડ ઘણા જરૂરી છે, તે જ કારણે આ વિભાગની પ્રાથમિકતા છે. પોસ્ટ ઓફિસનાં સુત્રોએ કહ્યુ કે, સામાન્ય રીતે CM માટે 30થી 40 પોસ્ટકાર્ડ અને રજીસ્ટર લેટર આવતા હોય છે. પરંતુ અચાનક આ સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યુ કે, આ પોસ્ટકાર્ડ હવે તેમના કાર્યાલય દ્વારા પ્રતિદિન સંભાળવામાં આવતા કુલ પોસ્ટકાર્ડનાં 10 ટકા છે.
ટીએમસીએ ‘જય હિન્દ, જય બાંગ્લા’ પોસ્ટકાર્ડ મોકલ્યા
દરમિયાન, રેલવે મેઇલ સર્વિસે ગુરુવારે મુખ્યમંત્રીને મોકલવામાં આવેલા આશરે 4500 પોસ્ટકાર્ડ્સને પણ અલગ કર્યા છે. બીજી તરફ, મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ગુસ્સામાં દેખાઇ રહી છે અને તેમણે પોસ્ટકાર્ડનો જવાબ પોસ્ટકાર્ડથી આપવાનું શરૂ કરી દીધુ છે. ટી.એમ.સી. ‘જય શ્રી રામ’ ની જગ્યાએ ‘જય હિન્દ, જય બાંગ્લા લખી પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી રહ્યું છે.
દિવસ દીઠ આઠ હજાર પોસ્ટ કાર્ડ મોકલી રહ્યું છે
ટીએમસીનાં નેતા અને રાજ્યનાં ખાદ્ય પ્રધાન જ્યોતિપ્રિયો મુલિકે જણાવ્યું હતું કે, અમારા સમર્થકો મુખ્યત્વે ઉત્તર 24 પરગણા, હાવરા અને હુગલીમાં દરરોજ આઠ હજાર પોસ્ટકાર્ડ મોકલી રહ્યા છે. હાલમાં, પોસ્ટકાર્ડની અછત વર્તાઇ છે અને અમે નક્કી કર્યું છે કે પત્રો હવે છાપવામાં આવશે અને વડા પ્રધાન મોદીને મોકલવામાં આવશે. અમે આ પત્રો પી.એમ.ઓ.ને મોકલવાનું ચાલુ રાખીશું. ‘