પશ્ચિમ બંગાળ ભલે ગમે તેટલું પ્રગતિશીલ રાજ્ય ગણાતું હોય.ત્યાં ત્રીસ કરતા વધુ વર્ષ સુધી જેમને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી તેવા દાવા કરનાર સામ્યવાદી પક્ષની આગેવાની હેઠળના ડાબેરી મોરચાએ શાસન કર્યું હોય,૨૦૧૧થી આ રાજ્યમાં ભલે મમતા બેનરજી અને તેમના પક્ષ ટી.એમ.સી.નું શાસન હોય,મમતા બેનરજી અને તેમના પક્ષને દેશના કેટલાક સંગઠનો દ્વારા ભલે જુદી રીતે ચીતરવામાં આવતો હોય,પશ્ચિમ બંગાળમાં ભલે અત્યાર સુધી ક્યારે પણ ધર્મનું કાર્ડ ચાલ્યું ન હોય તેવા પરિણામો અનેક વખત આવ્યા હોય પરંતુ બંગાળની પ્રજા ધાર્મિક નથી અગર તો ધર્મને માનતી નથી એવું કોઈ પક્ષ કહી શકે તેવી સ્થિતિમાં હરગીઝ નથી.
આ અંગે ઘણા વિવેચકોએ એકથી વધુ વખત લખ્યું છે કે બંગાળ એક પ્રગતિશીલ રાજ્ય છે. આ રાજ્યમાં દરેક પ્રકારના લોકો વસે છે.લઘુમતી અને પરપ્રાંતીય લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.ટૂંકમાં દેશના ત્રીજા નમ્બરનું રાજ્ય ગણાતું આ પશ્ચિમ બંગાળ એક પ્રગતિશીલ રાજ્ય છે.
પશ્ચિમ બંગાળની પ્રજા બીજી બધી બાબતોમાં માને કે ન માને પણ તેમના માટે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને અસ્મિતાનું ખૂબ મહત્વ હોય છે. આ જ બાબત તેની લાક્ષણિકતા પણ છે.સંસ્કૃતિ કે અસ્મિતા સાથે ચેડા થયાનો નાનકડો બનાવ પણ તેઓ સહન કરી શકતા નથી.
દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનું ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ છે.તેને આ પ્રજા ખૂબ જ માને છે અને મહત્વ પણ આપે છે.તેની સાથે ચેડાં થવા જેવી કોઈ વાત આ પ્રજા સાંખી લેતી નથી તે પણ એક હકીકત છે.
બે દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય સંસ્થા ગણાતી યુનેસ્કો એ એવી સત્તાવાર જાહેરાત કરી કે દુર્ગાપૂજા એ મહાન વારસો છે.ટૂંકમાં કહીએ તો આ વારસો એ હેરિટેજ અને ધાર્મિક કક્ષાનો છે.છેલ્લા કેટલાક સમયથી ભાજપ દુર્ગાપૂજાની ઉજવણી કરતો હતો.પરંતુ આ વર્ષે ભાજપે તેની કોઈ ભવ્ય ઉજવણી કરી નહોતી.જ્યારે બીજી બાજુ ટી એમ સી અને તેના સાથી સંગઠનોએ દુર્ગાપૂજાની ઉજવણી તો કરી પણ તેની સાથે તમામ દુર્ગાપૂજા પંડાલોને આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.આ પ્રશ્ને પશ્ચિમ બંગાળ ભાજપના નેતાઓએ રાજકીય રૂપ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.સાથો સાથ રાજ્ય સરકાર નાણાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ પણ કરી નાખ્યો હતો.હવે જ્યારે યુનેસ્કોએ દુર્ગાપૂજાને સત્તાવાર માન્યતા આપવાનો પ્રયાસ કર્યો તે બાબત અંગે ટી એમ સીના સાંસદ અને મહાસચિવ અભિષેક બેનરજીએ કોલકત્તાની રેલીમાં કહ્યું કે આ નિર્ણય કેન્દ્ર સરકાર માટે લપડાક સમાન છે.કારણકે રાજ્ય સરકારના દુર્ગાપૂજા અંગેના નિર્ણયની ટીકા કરી હતી.હિન્દુત્વ અંગે ભાજપ બેવડું વલણ અપનાવતો હોવાનો બેનરજીએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો.
દક્ષિણ કોલકત્તા મ્યુનિસિપલ ચૂંટણીનો પ્રચાર જ્યારે અંતિમ રાઉન્ડમાં છે ત્યારે ટી એમ.સી.ના નેતાઓ દ્વારા તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહયો છે.ટૂંકમાં આ ચૂંટણીમાં ટી.એમ.સી. દ્વારા ભાજપના હિન્દૂ કાર્ડનો તેના જ હથિયારથી સામનો થઈ રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણી વખતે મમતા બેનરજીની સરકાર સામે તૃષ્ટીકરણ સહિતના અનેક આક્ષેપ થયા હતા.ભવનીપુરની પેટા ચૂંટણી સમયે મમતા દીદી સામે ઘણા મુદ્દા ઉછાળવામાં આવ્યા હતા.ભવાનીપુરની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ભારે મોટી બહુમતીથી ચૂંટાયા હતા.માત્ર ૨૦ ટકા લઘુમતી મતદારો વાળા આ વિસ્તારમાં ચાલીશ ટકા થી વધુ પરપ્રાંતીય મતદારો હોવા છતાં ટી.એમ.સી.ના ઉમેદવાર તોતિંગ સરસાઈ સાથે મેદાન મારી ગયા હતા..હવે પછી આ મુદ્દાનો કેવો ઉપયોગ કરે છે તે જોવાનું રહે છે.