મંતવ્ય વિશેષ/ કોરોના જેવું સંક્રમણ ભારતમાં ફેલાશે?

કોરોના બાદ હવે ચીનમાં ફેફસાની એક નવી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. તેને રહસ્યમયી ન્યૂમોનિયા કહેવામાં આવી રહી છે. આ બીમારી ખાસ કરીને બાળકો પર એટેક કરી રહી છે.   

Mantavya Exclusive Mantavya Vishesh
કોરોના
  • કોરોના બાદ ચીનમાં બાળકોમાં ફેલાઈ રહસ્યમય બીમારી
  • WHO એ બહાર પાડવું પડ્યું નિવેદન
  • ન્યુમોનિયા ક્યારે અને કયાં કારણોસર ફેલાય છે?
  • ચીનમાં ફેલાતી બીમારી સામાન્ય ન્યુમોનિયા જેવી જ છે?

ઓગસ્ટ 2023, ચીને કોરોના લોકડાઉનનાં 3 વર્ષ બાદ તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. એક મહિના પછી એટલે કે ઓક્ટોબરમાં જ અહીં એક રહસ્યમય બીમારી ફેલાવા લાગી છે. ભારે તાવ સાથે ફેફસાં ફૂલાવી દેતી આ બીમારીને કારણે દરરોજ 7000 બાળકો હોસ્પિટલે પહોંચી રહ્યાં છે.નિષ્ણાતો કહે છે કે કોરોનાની જેમ આ રોગ પણ ચેપી છે. તે ચીનના એક શહેરથી બીજા શહેરમાં ફેલાઈ રહ્યો છે. WHO જવાબ માંગી રહ્યું છે, પરંતુ ચીન મૌન છે.

કોરોનાની જેમ ચીન પણ આ રોગ અંગે ડેટા જાહેર કરી રહ્યું નથી. WHOએ ચીનની સરકારને ઘણી વખત આ બીમારી વિશે પૂછ્યું છે. ચીનની સરકાર આ રોગને રહસ્યમય ન્યુમોનિયા કહી રહી છે.કેટલાક લોકો તેને વૉકિંગ ન્યુમોનિયા પણ કહી રહ્યા છે. એક રીતે ચીનમાં ફેલાતી બીમારીને ન્યુમોનિયા કહેવામાં આવી રહી છે. આ રોગ બેક્ટેરિયલ ચેપ દ્વારા ફેલાય છે. આ બેક્ટેરિયાને માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા બેક્ટેરિયા કહેવામાં આવે છે.5 વર્ષ સુધીનાં બાળકોને સામાન્ય રીતે શિયાળા દરમિયાન માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા બેક્ટેરિયાનો ચેપ લાગે છે. શિયાળામાં ન્યુમોનિયા ફેલાવાનાં બે કારણો છે.

  1. ઠંડીના સમયમાં વાતાવરણ અને શરીરનું તાપમાન ઘટે છે. 8 ડીગ્રીથી 15 ડીગ્રી સુધીનું તાપમાન આ બેક્ટેરિયા માટે અનુકૂળ છે.
  2. શિયાળામાં પ્રદૂષણ ખૂબ વધારે હોય છે. આ કારણે આ બેક્ટેરિયા શિયાળામાં લોકોને સરળતાથી પોતાની ઝપેટમાં લે છે.

ચીનની હેલ્થ ઓથોરિટીનું કહેવું છે કે આ એક સામાન્ય ન્યુમોનિયા રોગ છે. નવી બીમારી અથવા અન્ય બેક્ટેરિયા કે વાઇરસનું સંક્રમણ નથી. જો કે, 15 નવેમ્બર, 2023ના રોજ, પ્રો-મેડ નામના સર્વેલન્સ પ્લેટફોર્મે ચીનમાં ન્યુમોનિયા અંગે દુુનિયાભરમાં એલર્ટ જાહેર કર્યું છે.આ જ સંસ્થાએ 2019માં પણ કોરોનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. આ સંગઠનનું કહેવું છે કે બેઈજિંગની હોસ્પિટલમાં એક દિવસમાં 13 હજાર બાળકોને દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલમાં દરરોજ 7 હજારથી વધુ બાળકો આવી રહ્યાં છે. આ બધું 2019ની કોરોના જેવી સ્થિતિની યાદ અપાવે છે. આ બધું જોતાં એવું નથી લાગતું કે આ માત્ર સામાન્ય ન્યુમોનિયા છે.

જ્યારે કોઈને ન્યુમોનિયા થાય છે ત્યારે કફ પણ થાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચીનના રહસ્યમય ન્યુમોનિયામાં બાળકોમાં કફ બની રહ્યો નથી. તેની છાતીના એક્સ-રેમાં તેના ફેફસાં પર નોડ્યુલ્સ એટલે કે એક પ્રકારના ગોળ ચક્તાઓ દેખાય છે. આને પલ્મોનરી નોડ્યુલ કહેવામાં આવે છે. નોડ્યુલનો પ્રકાર મોટા ભાગે બેક્ટેરિયલ ચેપમાં રચાય છે, વાઇરલ ઈનફેક્શનમાં આવું થતું નથી.આ બીમારીથી પીડિત બાળકોને જોતાં એવું લાગે છે કે તેમને માયકો પ્લાઝ્મા ન્યુમોનિયાના કેસ જ નહીં પરંતુ કેટલાક વાઇરલ ઇન્ફેક્શન પણ છે. તેઓ એકસાથે બેક્ટેરિયા અને વાઇરસ બંનેથી સંક્રમિત છે. તેને કો-ઇન્ફેક્શન અથવા ક્રોસ ઇન્ફેક્શન કહેવામાં આવે છે.

જો આવું હોય તો તે ખૂબ જ ગંભીર છે કારણ કે આવા ઘણા કિસ્સાઓમાં દવાઓ પણ કામ કરતી નથી. જો બાળકોમાં માત્ર માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા હોય, તો તેના માટે દવાઓ છે. જો ચીનમાં બાળકો પર દવાઓનું કામ થયું હોત તો પરિસ્થિતિ કાબૂમાં હોત. ચીને પણ આ વાત સ્વીકારી લીધી છે. ચીને રવિવારે કહ્યું કે આ એક અવી બીમારી છે જે ઘણા પેથોજેન્સ દ્વારા ફેલાય છે.

ચીનમાં બગડતી પરિસ્થિતિનું એક કારણ ત્યાં કોરોના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલી ઝીરો કોવિડ પોલિસી પણ હોઈ શકે છે. તે સમયે લાદવામાં આવેલી સખ્તાઈને કારણે ઘણાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થઈ શક્યો ન હતો. તેઓ પોતપોતાનાં ઘરોમાં જ કેદ રહ્યાં.હવે જ્યારે તેઓ બહાર જઈ રહ્યાં છે, ત્યારે તેઓ વાઇરસ અને બેક્ટેરિયાની ઝપેટમાં આવી રહ્યાં છે. તેમના શરીરમાં તેમની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નથી. જેના કારણે અહીં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યાં છે.બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેથી જ આ રોગ બાળકોને અસર કરી રહ્યો છે. આનો અર્થ એ નથી કે આ એક એવી બીમારી છે જે ફક્ત બાળકોમાં જ ફેલાય છે. જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, આ રોગ તેને તેનો શિકાર બનાવશે.

જ્યારે આ રોગનો ચેપ લાગે છે, ત્યારે આ લક્ષણો મોટે ભાગે જોવા મળે છે…

  • ઉધરસ
  • દુખાવો અથવા ગળામાં દુખાવો
  • તાવ
  • ફેફસામાં સોજો
  • શ્વાસનળીમાં સોજો

હા, આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ રોગથી પીડિત દર્દીના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. આ જ કારણ છે કે આ રોગ ફેલાવાની શક્યતા વધી રહી છે.જો આપણે ચીનનું ઉદાહરણ લઈએ તો આ રોગ દેશના ઘણા ભાગોમાં ફેલાયો છે. ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે.ચીનના પાડોશી દેશ વિયેતનામમાંથી પણ કેટલાક કેસ નોંધાયા છે. તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોગ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ બીમારી અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.તે ભારતમાં પણ ફેલાઈ શકે છે. ભારતે આ અંગે સતર્ક રહેવાની જરૂર છે.કોરોના એક વાઇરલ ઈન્ફેક્શન હતો, જ્યારે આ બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. જોકે કોરોના થયા પછી પણ ન્યુમોનિયા થતો હતો. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેથી ઘણા દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડતા હતા.

બેક્ટેરિયલ ઈન્ફેક્શનને રોકવા માટે ઘણી એન્ટીબાયોટિક્સ છે. એનો ઉપયોગ કરીને એની અસર ઘટાડી શકાય છે. જોકે ચીનની સ્થિતિને જોતાં એવું લાગે છે કે આ માત્ર બેક્ટેરિયલ ઈન્ફેક્શન નથી, એ કંઈક બીજું પણ હોઈ શકે છે. ચીન આ અંગેના ડેટા શેર કરે પછી જ ખબર પડશે. જો એ બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક્સથી દર્દીનું મૃત્યુને અટકાવી શકાય છે.

કોરોના બાદ હવે ચીનમાં ફેફસાની એક નવી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. તેને રહસ્યમયી ન્યૂમોનિયા (Mysterious Pneumonia) કહેવામાં આવી રહી છે. આ બીમારી ખાસ કરીને બાળકો પર એટેક કરી રહી છે. તેના કારણે બાળકોમાં શ્વાસ સંબંધિત પરેશાનીઓ જોવા મળી રહી છે. હોસ્પિટલ બાળકોથી ઉભરાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ આ બીમારીને લઈને ચિંતા જતાવી છે.

ચીન સહિત દુનિયાના અનેક દેશ હજુ પણ કોરોનાથી સંપૂર્ણ રીતે બહાર નીકળી શક્યા નથી. આવામાં લોકોને એ સમય યાદ આવી રહ્યો છે કે જ્યારે કોરોના શરૂઆતના દૌરમાં હતો. આમ તો આ મહામારીને ન્યૂમોનિયાથી હળતી ભળતી કહેવાઈ રહી છે. પરંતુ તેના અનેક લક્ષણો ન્યૂમોનિયાથી અલગ છે. તેની ઝપેટમાં આવતા બાળકોના ફેફસામાં સોજા જોવા મળી રહ્યા છે. તેમને વધુ તાવ સાથે ઉધરસ, ફ્લૂ અને શ્વાસની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રહસ્યમયી ન્યૂમોનિયા સંલગ્ન મોટાભાગના દર્દીઓ ઉત્તર પૂર્વ બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે સંસાધનો પર વધુ દબાણ પડવા લાગ્યું છે. બીમારીનો પ્રકોપ એટલો વધુ છે કે સરકારે અહીં શાળાઓ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. આ બીમારીને લઈને એક ઓપન એક્સેસ નિગરાણી  પ્રોમેડ એલર્ટે દુનિયાભરમાં ચેતવણી બહાર પાડી છે. હકીકતમાં આ મંચ સંપૂર્ણ દુનિયામાં માણસ અને જાનવરોમાં થનારી બીમારીઓ પર નજર રાખે છે. ચીનમાં સામે આવી રહેલા રહસ્યમય ન્યૂમોનિયા અંગે ચેતવણી આપતા આ સંસ્થાએ કહ્યું કે આ બીમારીનો પ્રકોપ ખાસ કરીને બાળકો પર જોવા મળી રહ્યો છે.

પ્રોમેડ(proMED)  એલર્ટે જ ડિસેમ્બર 2019ના અંતમાં એક નવા વાયરસ અંગે પ્રાથમિક ચેતવણી બહાર પાડી હતી. ત્યારબાદ SARS- કોવિડ 2 તરીકે ઓળખવામાં આવ્યો. સંસ્થાના એલર્ટથી જ WHO ના હાઈ રેંકિંગ ઓફિસર અને મેડિકલ પ્રોફેશનલની સાથે સાથે વૈજ્ઞાનિકોની એક મોટી જમાત એલર્ટ થઈ ગઈ હતી. એલર્ટ જાહેર કરનારી સંસ્થા પ્રોમેડ એલર્ટે જણાવ્યું કે તેમણે એક અજાણી બીમારી અંગે એલર્ટ જાહેર કર્યું છે. જે ખાસ કરીને શ્વસનક્રિયાને પ્રભાવિત કરે છે. જો કે એજન્સીએ એમ પણ કહ્યું કે તેમને એ સ્પષ્ટ નથી કે આ પ્રકોપની શરૂઆત ક્યારથી થઈ. સંસ્થાએ એમ પણ કહ્યું કે આટલા બધા બાળકો એક સાથે આટલા જલદી પ્રભાવિત થઈ શકે નહીં. રિપોર્ટમાં એવું પણ નથી કહેવાયું કે આ બાળકોથી કોઈ વયસ્ક પ્રભાવિત થયો છે.

WHO એ આ બીમારીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યા બાદ ચીનને વિસ્તૃત જાણકારી આપવાની ભલામણ કરી છે. WHO એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ બીમારી વિશે ચીને 13 નવેમ્બર 2023ના રોજ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું. સ્વાસ્થ્ય એજન્સીએ ચીનને આ બીમારી સંલગ્ન મામલાઓ પર કડક નિગરાણી રાખવા કહ્યું છે. WHO એ જણાવ્યું કે 21 નવેમ્બરના રોજ પ્રોમેડે ઉત્તરી ચીનમાં ફેલાઈ રહેલી આ બીમારી વિશે સૂચના આપી.  વિશ્વ આરોગ્ય સંગઠન ચીન પાસેથી આ બીમારી વિશે વધુ જાણકારી પણ ઈચ્છે છે.


whatsapp ad White Font big size 2 4 કોરોના જેવું સંક્રમણ ભારતમાં ફેલાશે?


આ પણ વાંચો:હેબતપુરનો 26 વર્ષીય યુવક ઘર પાસેના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો

આ પણ વાંચો:ભરતીના ધમધમાટ વચ્ચે હજી પણ 390 આચાર્યોની જગ્યા ખાલી

આ પણ વાંચો:અમદાવાદના ચાંદલોડિયા, જગતપુર, છારોડી, ત્રાગડમાં સ્ટોર્મ વોટેર ડ્રેનેજ લાઇનને મંજૂરી

આ પણ વાંચો:માવઠાથી ખેતીને નુકસાનની સંભાવના, ભાજપ નેતાએ ખેડૂતોને વળતર ચૂકવવા સરકારને કરી રજૂઆત