રાજકોટના વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે નવનિયુક્ત અધિકારીઓએ પોતાની નેમ વ્યક્ત કરી છે.રાજકોટમાં કલેક્ટર અને મનપા કમિશનરની બદલી થતા નવા કલેક્ટરે ગઇકાલે ચાર્જ સંભળ્યો હતો. સ્માર્ટસીટી તરીકે ખ્યાતનામ રાજકોટના વિકાસને આગળ વધારવા જુના કમિશનર તેમજ કલેક્ટરે કંડારેલી કેડી પર પગલાં માંડવા એ પડકારરૂપ જરૂર રહેશે. પરંતુ આ અધિકારીઓ પણ પોતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે.જ્યારે આજે મનપાના નવા કમિશનર તરીકે અમિત અરોરાએ તેમજ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો છે.આજે ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે રાજકોટની કામગીરી માટે કેવી તત્પરતા દાખવી છે તે જાણીએ.
તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી નિકાલને રાજકોટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંતનવા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિ લઈને તેમણે પોતાની કામગીરી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવો તે અમારી પ્રાથમિકતા રહેશે.
રાજકોટમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. જે નવા કમિશનર માટે પડકારરૂપ સાબિત થશે.તેમજ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો છે.તેઓએ જણાવ્યું હતું કે અલગ અલગ બ્રિજનું નિર્માણ કામ પણ પૂરજોશમાં કરવામાં આવશે. ચોમાસામાં પાણીની સમસ્યા રાજકોટમાં વધુ રહે છે તેના નિકાલ માટે પ્રાથમિકતા રહેશે. નવા ભળેલા ગામડાઓમાં રોડ-રસ્તાની સૌથી વધુ સમસ્યા છે. ત્યારે નવા ભળેલા ગામોનો વધુ વિકાસ કરવામાં આવશે અને તેને પૂરતી સુવિધા એ પ્રાથમિકતા રહેશે.
નવ નિયુક્ત રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુનું ગઇકાલે કલેક્ટર કચેરી ખાતે આગમન થતાં ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો. અને પૂર્વ કલેકટર રેમ્યા મોહનને સ્ટાફે યાદગાર વિદાય આપી હતી. આ પ્રસંગે નવ નિયુક્ત કલેક્ટરે કહ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીઓને અગ્રતા આપીશું.