રાવલપિંડી,
કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા બોર્ડર પર કરવામાં આવેલી આતંકવાદી પ્રવૃત્તિમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ પાકિસ્તાન દ્વારા ભારતના રાજદૂત સાથે ગેરવર્તણૂક કરાયા હોવાનું સામે આવ્યું છે.
શુક્રવારે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયાને રાવલપીંડી સ્થિત ગુરુદ્વારા પંજાબ સાહિબમાં દર્શન કરવાથી રોકવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા તેઓને ગુરુદ્વારામાં દર્શન કરવા માટે અનુમતિ આપવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. નોધનીય છે કે, શુક્રવારે રાજદૂત બિસારિયાનો જન્મ દિવસ હોવાથી તેઓ પોતાની પત્ની સાથે ગુરુદ્વારામાં પહોચ્યા હતા.
આ મામલે ભારત દ્વારા જણાવવામાં આવ્યું, “પાકિસ્તાનમાં ભારતીય નાગરિકોને સમયાંતરે ઉત્પીડન, દુર્વ્યવહાર કે અન્ય ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે રાજદૂતોને સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવા માટે જણાવ્યું હતું.
મહત્વનું છે કે, આ વર્ષનો બીજો બનાવ છે ત્યારે ભારતના રાજદૂત સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલ મહિનામાં પણ તેઓને ગુરુદ્વારા પંજાબ સાહિબમાં દર્શન માટે રોકવામાં આવ્યા હતા. તે સમયે પાકિસ્તાન ઓથોરિટી દ્વારા સુરક્ષાના કારણો જવાબદાર ગણાવ્યા હતા. જો કે ત્યારબાદ ભારત દ્વારા પણ આ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.