જલાલુદ્દીન હક્કાની, અફઘાનિસ્તાનના સૌથી ભયાનક આતંકી સમૂહ હક્કાની નેટવર્ક ના સ્થાપકનું લાંબી બીમારી બાદ મોત થયું હોવાનું એક તાલિબાન નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર સંગઠનના સ્થાપક એવા હક્કાની, છેલ્લા 10 વર્ષથી લકવાગ્રસ્ત હાલતમાં હતો. જોકે, હક્કાનીના મોતની ખબરો 2015માં પણ સામે આવી હતી.
તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહીદે મંગળવારે જણાવ્યું કે હક્કાની નેટવર્કના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બીમારી બાદ મોત થયું છે.
હક્કાની, અફઘાનિસ્તાનમાં એક સોવિયત વિરોધી કમાન્ડર હતો. અને 1970ના દાયકામાં તેણે હક્કાની નેટવર્કની સ્થાપના કરી હતી. જણાવી દઈએ કે 1995માં હક્કાનીએ તાલિબાન પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા હતા.
હક્કાની નેટવર્ક હાલ, જલાલુદ્દીન હક્કાનીના પુત્ર સિરાજુદ્દીન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જે પોતે પણ એક તાલિબાન નેતા છે. તાલિબાન દ્વારા જાહેર કરવામાં નિવેદનમાં કહેવામાં આવ્યું કે જલાલુદ્દીન અત્યારના સમયના એક મહાન પ્રતિષ્ઠિત જિહાદી વ્યક્તિત્વ હતું.
આ ભયાનક આતંકી સમૂહને અફઘાનિસ્તાનમાં ભયંકર હિંસા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. અફઘાનિસ્તાનના કાબુલમાં એમ્બેસી પર બોમ્બમારો, અફઘાનિસ્તાનની સંસદ પર હુમલો અને સ્થાનિક લોકો તેમજ અમેરિકી લશ્કરી થાણાઓ પરના હુમલા માટે હક્કાની જવાબદાર હતા.
હક્કાની નેટવર્કને અફઘાનિસ્તાનમાં ભારતીય હિતો પર હુમલો કરવા માટે પણ જવાબદાર ગણવામાં આવે છે. 2008માં કાબુલના ભારતીય મિશન પર હક્કાની દ્વારા કરવામાં આવેલા હુમલામાં 58 લોકોના મૃત્યુ થયા હતા.
તાલિબાન સાથે હાથ મેળવ્યા બાદ, 1996માં હક્કાની નેટવર્કે કાબુલ કબ્જે કરવામાં તાલિબાનની મદદ કરી હતી. ત્યારબાદ તાલિબાની સરકારમાં જલાલુદ્દીન હક્કાનીને આદિવાસી બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર આક્રમણ સુધી તે મંત્રીપદે રહ્યાં.
જલાલુદ્દીન હક્કાનીએ દાર અલ-ઉલમ હક્કનીયા મદરેસા, પાકિસ્તાનમાં અભ્યાસ કર્યો હતો. જેના તાલિબાની સાથેના સંબંધો જગજાહેર છે. અલ કાયદાના સરદાર ઓસામા બિન લાદેન સાથે પણ હક્કાનીને ઘનિષ્ઠ સંબંધો હતા.