નવી દિલ્હી,
ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર હાલ તણાવ યથાવત છે. પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીર સરહદ નજીક યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતને ઉકસાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે, તો બીજીબાજુ આતંકીઓની ઘુસણખોરી પણ કરાવી રહ્યુ છે. સરહદ પર ભારત અને પાકિસ્તાની સેનાઓ સામ-સામે તૈનાત છે.
પરંતુ દેશની સામાન્ય જનતા સાંભળીને આશ્ચર્યચકિત થાય તેવા સમાચાર બંને દેશોની આર્મી તરફથી આવ્યાં છે.આગામી સમયમાં રશિયામાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ એક સાથે યુદ્ધાભ્યાસ કરતી નજરે પડશે.સરહદ પર એકબીજાના જાન લેવા તત્પર આ બંને સેનાઓ રશિયામાં સાથે યુદ્ધ કવાયત કરશે.
રશિયામાં જે યુદ્ધાભ્યાસ થશે તેમાં પાકિસ્તાનની સાથે ભારતીય સેનાના 200 સૈનિકો પણ આ લશ્કરી કવાયતમાં શામેલ થઈ રહ્યા છે. રશિયા ખાતેની આ સંયુક્ત લશ્કરી કવાયત ઓગસ્ટ મહિનામાં યોજાવાની છે. રશિયામાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોની સેનાઓના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં પણ ભારત અને પાકિસ્તાનની સેનાઓ શામેલ થવાની છે.
ભારત-પાકિસ્તાનનો આ સંયુક્ત યુદ્ધાભ્યાસ ઓગસ્ટના અંતમાં અથવા તો સપ્ટેમ્બરની શરુઆતમાં આયોજિત થઈ શકે છે. એસસીઓના સભ્ય દેશોની સંયુક્ત લશ્કરી કવાયતમાં ત્રણ હજાર સૈનિકો સામેલ થવાના છે. આ કવાયત રશિયાના દક્ષિણ યુરાલના પહાડી વિસ્તારમાં આવેલ ચેબર્કુલસ્કીના તાલીમ સ્થાને યોજાવાની છે. એસસીઓની સંયુક્ત લશ્કરી કવાયતમાં રાજપુત રેજિમેન્ટની પાંચમી બટાલિયનના લગભગ 200 સૈનિકો ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાનથી રશિયા જશે. આ યુદ્ધાભ્યાસ માટે ભારતીય સેનાની ટુકડી 14 અને 15 ઓગસ્ટે ભારતથી રવાના થશે.