ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ ના ચીફ ઇમરાન ખાનની પાર્ટી PTIએ સૌથી વધુ સીટો મેળવી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે ઇમરાન ખાન ૧૧ ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી તરીકે શપત લેશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીની શપતવિધિ સમારોહ સાદગીથી કરવામાં આવશે અને આ સમારોહમાં કોઈ પણ દેશના રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ અપાશે નહિ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧ ઓગષ્ટના રોજ યોજાનારી શપતવિધિ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, ઇમરાન ખાન પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપી શકે છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું, “ઇમરાન ખાનના શપતવિધિ સમરોહમાં કોઈ પણ વિદેશી નેતાને બોલાવવામાં આવશે નહિ”.
ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે, ઇમરાન ખાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે નહિ. સાથે સાથે તેઓ પોતાના ખાસ મિત્ર એવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રણ આપશે નહિ.
મહત્વનું છે કે, આ પહેલા ઇમરાન ખાન દ્વારા ભારતમાંથી પૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર, કપિલ દેવ, નવજોત સિધ્ધુ અને બોલીવુડના અભિનેતા આમિર ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.
જો કે ત્યારબાદ નવજોત સિધ્ધુએ પણ આ આમંત્રણને સ્વીકારતા તેઓએ ઇસ્લામાબાદ જવાની વાત સ્વીકારી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, “મને પરવાનગી મળે છે તો હું જરૂરથી જઈશ”.
ઇમરાન ખાનની પાર્ટી બની હતી સૌથી મોટી પાર્ટી
મહત્વનું છે કે, ગત ૨૫ જુલાઈના રોજ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ ૧૧૬ સીટો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી હતી. જ્યારે પુર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ-એન (પીએમએલ-એન) ૬૪ સીટો સાથે બીજા નંબરે અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ૪૩ સીટો ત્રીજા નંબરે રહી હતી.