દેશનું સૌથી મોટું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ,સૌથી વધુ એટલે કે ૪૦૩ વિધાનસભા બેઠકો ધરાવતું રાજ્ય એટલે યુ.પી.તમામ રાજ્યો કરતા વધું ૮૦ લોકસભા બેઠકો વાળું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ.દિલ્હીમાં કેન્દ્ર સરકારના સિંહાસને બિરાજવા માટે સત્તાની સીડી સમાન રાજ્ય ઉત્તર પ્રદેશે દેશને જેટલા વડાપ્રધાનો આપ્યા છે તેટલા અન્ય કોઈ રાજ્યે આપ્યા નથી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ, થી શરૂ કરી લાલ બહાદુર શાસ્ત્રી, શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમજ ટુકસમય માટે દેશના સુકાની બનનારા ચૌધરી ચરણસિંહ,વિશ્વનાથ પ્રતાપ સિંહ,ચંદ્રશેખર વિગેરે નામો છે. દેશમાં સૌથી વધુ સમય ઉત્તર પ્રદેશના વડાપ્રધાનોએ દેશ પર રાજ કર્યું છે. વર્તમાન વડાપ્રધાનનું વતન ગુજરાત છે અને પોતે પણ ગુજરાતી છે. પરંતુ તેઓ ને લોકસભામાં પહોંચાડનાર અને બે-બે વખત એટલે કે ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટનાર ઉત્તર પ્રદેશનો વારાણસી સંસદીય મત વિસ્તાર છે. ૨૦૧૪માં તેઓ ગુજરાતના વડોદરમાંથી પણ ચૂંટાયા હતા પણ તેમણે તે વખતે વડોદરાની બેઠક ખાલી કરી વારાણસીની જાળવી હતી. એટલે ગુજરાતમાંથી ચૂંટાયેલા ગુજરાતી વડાપ્રધાન તો મોરારજીભાઈ દેસાઈ એક જ કહી શકાય. પણ જે કાંઈ હોય તે પણ દેશના રાજકારણના એ પી સેન્ટર તરીકે બીજા કોઈનું નહિ પણ ઉત્તર પ્રદેશનું નામ લખ્યા વગર ચાલે નહિ.જો કે દેશના વડાપ્રધાનોમાં મનમોહનસિંહ એવા વડાપ્રધાન હતા કે જેમણે કોંગ્રેસને યુ પી માંથી ૧૪ થી ૨૧ બેઠકો મેળવી હોવા છતાં દસ વર્ષ કેન્દ્રમાં સત્તા ભોગવી હતી. આમ એકાદ બે અપવાદ રૂપ સમયગાળાને બાદ કરતાં ઉત્તર પ્રદેશ દિલ્હીના સિંહાસન માટેનું ચાવી રૂપ રાજ્ય બની રહયું છે.
પરંતુ રાજ્યમાં રાજ્ય વિધાનસભાઓમાં સ્થિરતા કરતા અસ્થિરતાનો ગાળો વધારે રહ્યો છે આ એક એવું રાજ્ય છે જે ગઠબંધનનું જન્મદાતા કહી શકાય.૧૯૬૭માં ચૌધરી ચરણસિંહ કોંગ્રેસ વિરોધી પક્ષનું ગઠબંધન સંયુક્ત વિધાયક દળ એટલે કે સં વિ દ બનાવી દોઢ વર્ષ રાજ્યનું મુખ્યમંત્રી પદ ભોગવ્યું હતું.ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છોડનાર પણ તેઓ પ્રથમ મહાનુભાવ હતા.આ વાતની નોંધ પણ લેવી જ પડે.ઉત્તર પ્રદેશમાં તેના રચના કાળ થી એટલે કે ૧૯૪૭થી ૧૯૬૭ સુધી સતત વીસ વર્ષ સુધી એકચક્રી શાસન ભોગવ્યું હતું.પરંતુ ત્યારબાદ યુપી માં વિવિધ પક્ષના આગેવાનોને મુખ્ય મંત્રી બનવાનો લાભ મળ્યો છે.જેમાં ભારતીય ક્રાંતિ દળ, સંસ્થા કોંગ્રેસ, જનતા પાર્ટી , જનતા દળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી,ભારતીય જનતા પાર્ટી કહી શકાય.૧૯૬૭પછીના સમયગાળામાં કોંગ્રેસને પણ પાંચ વખત સરકાર રચવાની તક મળી છે પણ તેનું શાસન એક પણ વખત લાબું ટક્યું નથી તે પણ એક હકીકત છે.ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ચાર વખત બે તૃતીયાંશ બેઠકો સાથે સત્તા ભોગવી છે.ગઠબંધનના ભાગીદાર તરીકે પણ સત્તા મેળવી છે.જ્યારે ૨૦૧૭ની ચૂંટણીમાં અખિલેશ યાદવના સમાજવાદી પક્ષ સાથે ગઠબંધન કર્યા છતાં અત્યાર સુધીની સૌથી ઓછી એટલે સિંગલ ડિજિટ માં કહી શકાય એટલી સાત બેઠક મેળવી છે.જ્યારે લોકસભામાં કોંગ્રેસે ૧૯૭૫માં ૭૫ આસપાસ બેઠકો મેળવી હતી (જો કે તે વખતે કોંગ્રેસે દેશભરમાંથી પણ ચારસો કરતા વધુ બેઠકો મેળવી હતી.) જ્યારે અત્યારે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાસે સમ ખાવા પૂરતી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી જ્યાંથી ચૂંટાયા છે તે રાયબરેલી ની એક બેઠક કોંગ્રેસ પાસે છે.આમ ઉત્તર પ્રદેશે દરેક પક્ષને તક પણ આપી છે અને પછાડ્યા પણ છે.અપવાદરૂપ સમયને બાદ કરતાં ઉત્તર પ્રદેશમાં હમેશા બહુ પાંખિયો જંગ ખેલાયો છે.આ વખતે પણ ભાજપ , સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ અને પુરી તાકાતથી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી ચૂકેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના પક્ષ આમ આદમી પાર્ટી એટલે કે “આપ”ની ગણતરી કરીયે તો પાંચ કરતા વધુ રાજકીય પક્ષ મેદાનમાં ઉતરશે તે નક્કી છે.
ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત હતા. તેમની પ્રથમ ટર્મ માત્ર બે વર્ષની હતી.જો કે તેઓ બીજીવાર પણ યુ પી ના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના એક ડઝનથી વધુ મુખ્ય મંત્રી બન્યા પણ આમાંના એક પણ સતત પાંચ વર્ષ મુખ્યમંત્રી પદે ટકી શક્યા નહોતા. એન ડી તિવારી સહિતના કેટલાક મુખ્યમંત્રીઓને બે -ત્રણથી વધુ વખત મુખ્ય મંત્રી બનવાનો લાભ મળ્યો તે અલગ વાત છે.કેન્દ્રના સંરક્ષણ મંત્રી જેવો મોટો હોદો ભોગવનાર મુલાયમ સિંહ યાદવ પણ આ મોટા રાજ્યના મુખ્યમંત્રી પદ ચાર વખત ભોગવી ચુક્યા .પણ એકેય વખત અઢી વર્ષથી વધારે સમય સુધી ટકી શક્યા નહોતા તે પણ એક હકીકત છે.કેન્દ્રના વર્તમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ ટૂંકા ગાળા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા હતા પણ તેઓની મુદત પણ તેમની મુદત પણ ટૂંકી જ હતી.જ્યારે ૧૯૮૯માં દેશના વડાપ્રધાન બની એક વર્ષ કરતા ઓછા સમય માટે રાજ કરનાર અને ભાજપના ટેકાથી સત્તા ભોગવનાર વિશ્વનાથ પ્રતાપ સિંહ એટલેકે વી પી સિંહ પણ ટૂંકા ગાળા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે રાજ કર્યું હતું.
ઉત્તરપ્રદેશ ભલે દેશનું સૌથી મોટું રાજ્ય રહયુ પણ ત્યાં વારંવાર રાજકીય અસ્થિરતા સર્જાતા આઠ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું હતું.ત્યાં ત્રણ વખત તો સમય કરતાં ઘણી વહેલી એટલે કે મધ્યસત્ર ચૂંટણી યોજવાનો વારો આવ્યો હતો.આવડા મોટા રાજ્યમાં ૨૦૦૭ પહેલા આવી ઘટના વધુ પ્રમાણમાં બનતી હતી.
૧૯૬૨ થી ૨૦૦૭ સુધીના ૪૫ વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તરપ્રદેશમાં વારંવાર રાષ્ટ્રપતિ શાસન અને છાશવારે બદલાતા મુખ્યપ્રધાનો વાળો યુગ હતો.પરંતુ ત્યારબાદ ૨૦૦૭માં યુ પી વિધાનસભાની ચૂંટણી યોજાઈ .તેમાં અન્ય ઘણા પક્ષ હતા પણ ખરો જંગ માયાવતીના પક્ષ બહુજન સમાજ પાર્ટી અને મુલાયમ સિંહ યાદવે સ્થાપેલા પક્ષ સમાજવાદી પક્ષ વચ્ચે ખેલાયો અને બહુજન સમાજ પાર્ટીને ૨૦૨ કરતા વધુ બેઠકો સાથે મળી અને માયાવતી મુખ્યમંત્રી બન્યા.તેમણે પુરા પાંચ વર્ષ રાજ કર્યું. તેમના કેટલાક નિર્ણયો સારા હતા તો કેટલાક નિર્ણયોએ વિવાદ પણ ઉભો કર્યો હતો.જેની અસર ત્યાર પછીની ચૂંટણીમાં દેખાઈ.
૨૦૧૨માં ફરી ચૂંટણી યોજાઈ તે વખતે કેન્દ્રમાં કૉંગ્રેસી નેતા અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહની આગેવાની હેઠળની યુ પી એ ૨ સરકાર સત્તા પર હતી.આ સંજોગોમાં કોંગ્રેસ પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી.આ ચૂંટણીમાં સમાજવાદી પક્ષ ૨૦૫ કરતા વધુ બેઠકો સાથે વિજેતા બન્યો.અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા.તેમણે પોતાના શાસનના પાંચ વર્ષ પુરા કર્યા.આ સરકારની કામગીરી પણ વિવાદો સભર હતી.અખિલેશનું શાસન ચાલુ હતું તેવે સમયે ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તા પલટો થયો.ભાજપની આગેવાની હેઠળના એન ડી એને ભારે બહુમતી મળી.સતત ૧૪ વર્ષ સુધી ગુજરાતનું મુખ્યમંત્રીપદ ભોગવનાર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા.દેશમાં તે વખતે પરિવર્તનના પવનના કારણે અન્ય કેટલાક રાજ્યો પણ ભાજપના કે તેના સાથી પક્ષના હાથમાં આવી ચુક્યા હતા.
કેન્દ્રમાં ભાજપની સરકાર અને સ પાની સરકારની કેટલીક નહિ પણ અસંખ્ય ભૂલોના કારણે શાસન વિરોધી ઝોક જેવા વાતાવરણ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭ના એપ્રિલ મેં માસમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ઉપરાંત સમાજવાદી પક્ષ અને કોંગ્રેસનું જોડાણ અને બહુજન સમાજ પાર્ટી તેમજ અન્ય નાના પક્ષ પણ મેદાનમાં હતા.ભાજપે વડાપ્રધાન મોદીના નામે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે ૨૯૮થી વધુ બેઠકો સાથે તોતિંગ બહુમતી મેળવી.મુખ્યમંત્રી પદ માટે આમ તો અનેક નામો ચર્ચાતા હતા.પરંતુ વડાપ્રધાન મોદી અને તે વખતના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જોડીએ તે વખતના ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવાયા હવે તેમના કાર્યકાળમાં પાંચ વર્ષ પુરા થશે.હવે ૨૦૨૨ના એપ્રિલ મેં માસમાં વિધાનસભાની ૪૦૩ બેઠકોની ચૂંટણી યોજાશે.હજી તારીખો પણ જાહેર થઈ નથી ત્યાં તમામ રાજકીય પક્ષ આક્રમકતા અને આક્ષેપબાજી અને વિવાદી વિધાનોની હારમાળા વચ્ચે પ્રચાર કરી રહયા છે.
હવે ઉત્તરપ્રદેશનો આજ સુધીનો વિધાનસભા ચૂંટણીનો ઇતિહાસ તપાસિયે તો જણાશે કે ભલે ત્રણ ચૂંટણીમાં ચૂંટાયેલા મુખ્યમંત્રીઓએ પાંચ વર્ષ પુરા કર્યા હોય પણ સતત બીજી વાર ચૂંટણીમાં પોતાની સત્તા જાળવી શક્યા નથી.માયાવતી અને અખિલેશ યાદવ તેનો તાજો દાખલો છે. આ તો પાંચ વર્ષની વાત થઈ.અગાઉ કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષને સત્તા મળી હોવાના બનાવ ૧૯૬૭ બાદ બન્યા નથી.ઉત્તર પ્રદેશની પ્રજાએ દર પાંચ વર્ષે સરકાર બદલવાનો સિલસિલો લાંબા સમયથી જાળવ્યો છે.જો આ વખતે યુ પીમાં ભાજપ પોતાના વિજયને દોહરાવે તો ત્યાં નવો ઇતિહાસ આલેખાશે. તેમાંય જો ચૂંટણીના પરિણામોમાં ભાજપના વિજય બાદ પણ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ થશે તો બેવડો નવો ઇતિહાસ સર્જાશે.આ ઉપરાંત યોગી આદિત્યનાથનું રાષ્ટ્રીય કક્ષાએ પણ કદ વધશે.યુ પીના રાજકીય વર્તુળો કહે છે તે પ્રમાણે યોગીની વડાપ્રધાન બનવાની મહ્ત્વઆકાંક્ષા જાગે તેવી પણ શકયતા છે.જો કે હાલના તબક્કે જો અને તો જેવી સ્થિતિમાં છે.
Pride / 47 દેશના કલાકારોમાંથી ગુજરાતમાં ભુજના કલાકારને મળશે એવોર્ડ
મંજૂરી / ફલાઇટમાં ફરી એકવાર આ સુવિધા શરૂ કરવામાં આવી જાણો વિગત..
હવામાન / દેશના આ વિસ્તારોમાં હજુ પણ વરસાદનું જોર રહેશે યથાવત