રાજકોટઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવા માટે રાજકોટથી લાખોની સંખ્યામાં ભક્તો કડકડતી ઠંડીમાં જોડાયા હતા. શોભાયાત્રામાં 3000 લક્ઝરીયસ કાર, 7000 બાઇક્સ, 300 બસ તેમજ નાના મોટા શણગારેલા વાહનોની શોભા યાત્રા રાજકોટના રેસકોર્ષ મેદનામાંથી નીકળી હતી. આ શોભાયાત્રા 40 કિમી લાંબી હશે. જે રાજકોટથી કાગવડ સુધી ડાબી બાજુ ચાલશે. શોભાયાત્રાને જોતા રાજકોટથી કાગવડ સુધીના હાઇવેને વન વે કરી દેવામાં આવ્યો છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં રાત્રીથી જ લેઉવા પટેલ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગે ખોડલધામના નરેશ પટેલ અને કેશુભાઇ પટેલે દીપ પ્રાગટ્ય કરી મા ખોડલની આરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારૂ સ્વપ્ન આજે પૂરુ થયું હોવાથી ખૂબ જ ખુશ છું.
ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ આજથી થઇ રહ્યો છે. આજે મંદિરમાં સ્થાપિત થનાર મા ખોડલ સહિત 21 મૂર્તિઓ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી શોભાયાત્રરૂપે નીકળીને બપોરે 1 સુધીમાં કાગવડ પહોંચશે. મંદિરની મુખ્ય મા ખોડલની મૂર્તિ રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે રાખવામાં આવી હતી. મા ખોડલને આવકારવા માટે લાખો લેઉવા પટેલ સમાજના લોકો રેસકોર્ષ મેદાન ખાતે ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગે નાસિક અને મહારાષ્ટ્રના ઢોલ અને તાંસા સાથે 50 વાદ્યકારોની ટીમે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.