મહીસાગર જિલ્લાના લુણાવાડાના નાની દેનાવાડ ગામથી લાંચ લેવાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એસીબી દ્વારા શાળાના આચાર્યની લાંચ લેવાના આરોપો હેઠળ ધરપકડ કરી હોવાની જાણકારી મળી રહી છે.
મળતી વિગતો મુજબ, નાની દેનાવાડ ગામમાં આવેલી નાની દેનાવાડ પ્રાથમિક શાળાના આચાર્ય રાજકુમાર નાથાભાઈ પટેલ રૂ. 100ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીની શિષ્યવૃતિ અપાવવા માટે આચાર્યએ કુલ 600 રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી રૂ. 500 વિદ્યાર્થિનીના પિતાએ આપી દીધા હતા. અને રૂ. 100 આપવાના બાકી રહ્યા હતા.
વિદ્યાર્થિનીના પિતાએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં એસીબીને આ બાબતે જાણ કરી હતી. જેથી એસીબીના ઇન્સ્પેક્ટર એચ બી ગામેતીએ છટકું ગોઠવીને શાળાના આચાર્ય રાજકુમાર પટેલને રૂ. 100ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.