ગાંધીનગર
ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં ૧૪ માસની બાળકી પર થયેલા રેપની ઘટના પછી રાજ્યમાં પરપ્રાંતીય લોકો પર થયેલા હુમલા અને ગામ નિકાલ મુદ્દે આજે રાજ્ય પોલીસ વડાએ પોલીસ અને તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલા સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી. આજે આ જ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ અધિકારીઓ સાથે મીટીંગ કરીને આ મુદ્દે કાર્યવાહીનું મુલ્યાંકન કર્યું હતું.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા એ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે એક દેશમાં આ રીતે પ્રાંતના મુદ્દે લોકો દ્વારા અન્ય લોકો ઉપર થયેલા હુમલા અને ઘટનાઓ યોગ્ય નથી જેથી પોલીસ દ્વારા પરપ્રાંતીય લોકો કે જે ગુજરાતમાં જીવન જીવી રહ્યા છે તેમને આ મુદ્દે ખાસ સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.
રાજ્યમાં પરપ્રાંતીય મુદ્દાને ભડકાવનારા લોકો સામે હાલ પોલીસ તપાસ કઈ રહી છે અને આ મુદ્દે રાજ્યમાં ૪૨ જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે જેમાં પોલીસે ૩૪૨ જેટલા લોકોની ધરપકડ પણ કરી છે.
DGP એ જણાવ્યું કે, “સાબરકાંઠા જીલ્લામાં બેનેલી દુષ્કર્મની ઘટના બાદ અસરગ્રસ્ત જીલ્લાઓમાં એસ.આર.પીની ૧૭ જેટલી કંપનીઓ અને વધારાના PSI જીલ્લામાં ફાળવવામાં આવ્યા છે.
જેથી આ અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહીને સુપરવિઝન રાખી શકે, આ જીલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગ માટે અધિકારીઓ સહિત વધુ વાહનો પણ ફાળવવામાં આવ્યા છે. પરપ્રાંતીય લોકોના કામના કલાકો અને તમેની વસાહતો ઉપર પોલીસ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને અનિચ્છનીય બનાવો ન બને એ માટે એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યા છે.
પરપ્રાંતીય લોકો કામ કરતાં હોય એવા ઔધોગિક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ફિક્સ પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ સાથે જીલ્લા મેજીસ્ટ્રેટ અને તંત્ર સાથે સંકલન કરીને પરપ્રાંતીય લોકોમાં સુરક્ષા ભાવના વધારવામાં આવી રહી છે.”
આવી ઘટનાઓ પાછળ રેહલા લોકો વિશે તેમણે જણાવ્યું કે જીલ્લાની સ્થાનિક પોલીસ તથા એલ.આઈ.બી. આ અંગે કાર્યરત છે અને આ પ્રવૃત્તિ પાછળ રહેલા તત્વોને ઓળખી કાઢીને તેમની સામે પગલા લેવાની પ્રક્રિયા ગતીમાં છે.
સોશ્યલ મીડિયામાં ભડકાઉ અને હિંસા પ્રેરે એવા લખાણ અને મેસેજ દુર કરવા અમદાવાદ શહેર સ્પેશ્યલ પોલીસ કમિશ્નર જે.કે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ આવા લખાણ અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે જેમાં ૭૦ લોકો સામે ગુનો દાખલ થયો છે અને તેમાં ૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડાએ અપીલ કરતાં જણાવ્યું કે આ ઘટનાઓ બાદ લોકો સુરક્ષા અનુભવ કરે એ માટે જીલ્લા દીઠ પોલીસ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવેલ છે જેથી લોકો ઝડપથી પોલીસની મદદ મેળવી શકે અને આ ઘટના મુદ્દે આવો વિરોધ કરનારા લોકોને શાંતિ જાળવી રાખવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે અને તેઓ પોલીસને સહયોગ કરી અને ગુજરાતની શાંતિને જાળવી રાખવા પોલીસને મદદ કરે.
આજે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં DGP સહીત ADGP સંજય શ્રીવાસ્તવ, IGP આર. બી. બ્રહ્મભટ્ટ , ગાંધીનગર SP મયુર ચાવડા હાજર રહ્યા હતા.