તાઉતે વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઇ હતી જેના લીધે વીજ પુરવઠાને નુકશાન થયું હતું જેમાં અનેક વીજ થાંભલાઓ પડી ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો . અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ભારે જહેમત કરી રહ્યા છે.તબાહીના કારણે વધુ માનવબળની જરૂરીયાત હોય તત્કાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ આજે સવારે હજીરાથી ઘોઘા(ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઈ હતી. ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઈરેક્શન મશીન્સથી સજ્જ છે. જ્યારે અન્ય 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે.
ડીજીવીસીએલની 40 ટીમોમાં ડેપ્યુટી એન્જિનિયરો, જુનિયર એન્જિનિયરો, હેલ્પર સહિત કોન્ટ્રાકટ આધારિત સ્ટાફ મળી 400થી વધુ વીજકર્મીઓ સૌરાષ્ટ્રની પીજીવીસીએલ કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે.