@મુનિર પઠાન, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ
ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિધવા સહાય માટે નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં ૩૦,૦૦૦ અને ગુજરાતમાં અંદાજે આઠ લાખ વિધવા બહેનોને સહાયનો લાભ મળ્યો છે. હવે સમિતિ વિધવા બહેનોને રૂપિયા ૩૦૦૦થી ૫૦૦૦ સહાય મળે તેવી માંગને બુલંદ બનાવશે. સાથે યુવાન અને દિવ્યાંગોના પ્રાણ પ્રશ્નો અંગે પણ અવાજ ઉઠાવશે. તો સાથે કરજણ સીંચાઈ યોજનાનું રદ થયેલું મહેકમ ફરી મંજૂર થાય તે માટે પણ પ્રયાસો હાથ ધરશે.
ભરૂચ અને નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિએ પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની આગેવાનીમાં રાજ્યની વિધવા મહિલાઓને સરળતાથી રાજ્ય સરાકરની વિધવા સહાય યોજનાના લાભ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. રાજ્યામાં સૌથી મોટું વિધવા મહિલા સંમેલન બોલાવી તેમાં વિવિધ માંગણીઓ સાથેના ઠરાવો કરી રાજ્ય સરકારને મોકલાવ્યા હતા. જેના ફળસ્વરૂપે રાજ્ય સરકારે હકારાત્મક અભિગ અપનાવી યોજનાને સરળ બનાવી હતી. પરિણામે ભરૂચ જિલ્લાની ૩૦,૦૦૦ અને રાજ્યની ૮ લાખ જેટલી વિધવા મહિલાઓને સહાયના લાભ મળ્યા હતા. લોકડાઉન દરમ્યાન વધારાના રૂપિયા ૧ હજારની સહાય પણ મળી હતી.
સમિતિના પ્રયાસોથી જિલ્લા ઉપરાંત રાજ્યભરની વિધવા મહિલાઓમાં જાગૃતિ આવી હતી. વિધવા મહિલાઓ હવે જાતે મામલતદાર કચેરીમાં જઈ ફોર્મ ભરે છે. પરંતુ હજી વિધવા સહાય યોજનામાં કુટુંબની આવક મર્યાદા અંતરાયરૂપ બને છે. જેના કારણે હજીપણ વિધવા બહેનો સહાયથી વંચિત છે. ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં કરાયેલા એક સર્વે મુજબ અંદાજે એક લાખ જેટલી વિધવા બહેનો છે. જેમાંથી હજી માત્ર ૩૦,૦૦૦ વિધવા બહેનોને સહાયનો લાભ મળ્યો છે. સરકાર જો વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પંચાયત સ્તરે તલાટીને સોંપે તો ઘણી સરળતા થઈ શકે છે. એટલું જ નહિં કુટુંબની આવક મર્યાદાને પણ દૂર કરવી જોઇએ જેથી બધી જ વિધવા બહેનોને સહાયનો લાભ મળી શકે. ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના સેવાભાવી કાર્યકરોના ગ્રામ્ય લેવલે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી તલાટીઓ સાથે સંપર્કમાં રહી આગામી વર્ષમાં વધુ ૨૫૦૦૦ વિધવા સહાય ફોર્મ ભરવાનું લક્ષ્યાંક છે.
સમિતિના પ્રયાસોથી રાજ્ય સરકારે વિધવા સહાય વધારીને રૂપિયા ૧૨૫૦ કરી છે. પરંતુ વર્તમાન સમયમાં આટલી ઓછી રકમથી મહીનાનું ગુજરાન શક્ય નથી. આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં વિધવા બહેનોને રૂપિયા ૩૦૦૦થી ૫૦૦૦ સહાય મળે છે. જે જોતાં ગુજરાતમાં પણ રૂપિયા ૩૦૦૦ સહાય મળવી જોઇએ અને તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરાશે.
ભરૂચ નર્મદા જિલ્લા હિતક્ષક સમિતિ આગામી દિવસોમાં યુવાનોની રોજગારી અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પણ પ્રયાસો કરશે. જેમાં સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે, કંપનીઓમાં આઠ કલાકથી વધુ નોકરી માટે ઓવર ટાઈમ આપવામાં અાવે તથા કંપનીઅોમાં દિવ્યાંગોને લગતી કામગીરી માટે તેમની વિશેષ ભરતી કરવામાં અાવે તે માટે વિવિધ કાર્યક્રમો થકી જનજાગૃતિ લાવી રાજ્ય સરકારને રજૂઆત કરાશે.
ગુજરાતમાં બે મોટી જળયોજના એટલેકે નર્મદા ડેમ અને ઉકાઈ યોજના વચ્ચેનો એક આખો આદિવાસી પંથક સિંચાઈના પાણી માટે વલખાં મારે છે. કરજણ જળાશય યોજના આ પંથક માટે આશીર્વાદરૂપ બને તેમ છે. ૫૧,૦૦૦ હેકટર જમીનમાં સિંચાઈના લાભ કરજણ જળાશય યોજનાથી મળવાની હતી. પરંતુ સરકારે તેનું મહેકમ જ રદ કરી નાંખતા આજે માત્ર ૩૦૦૦ હેટકર જમીનને જ સિંચાઈના લાભ મળે છે. આદિવાસી પંથકના કિસાનોને સિંચઈના લાભ મળે તે માટે કરજણ જળાશય યોજનાના મહેકમને ફરી મંજૂર કરી કાર્યને આગળ વધારવાની જરૂર છે. ભરૂચ-નર્મદા જીલલા હિતરક્ષક સમિતિ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી આ અંગે જનજાગૃતિ લાવશે અને કરજણ જળાશય યોજનાનું મહેકમ રાજ્ય સરકાર ફરી મંજૂર કરે તે માટે પ્રયાસો કરશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…