કોરોનાની કપરી પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં સંક્રમિત બનેલા કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસર અને પુરતી માત્રામાં ઓક્સિજન સપ્લાય મળી રહે તેવા ઉમદા પ્રયાસો બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી દ્વારા કરવામાં આવ્યો છે. અને અબુધાબી ખાતેનાં બીએપીએસ હિન્દુ મંદિરની પ્રેરણાથી ત્યાંના હિન્દુ પરિવારજનોનાં સૌજન્યથી 440 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ગુજરાત માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ત્યારે તેની ફલશ્રૃતિએ પ્રથમ ઓક્સિજન શિપમેન્ટ 44 મેટ્રિક ટન સાથે બે કાયોજૈનિક ટેન્કરો મારફતે દુબઈથી ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યું છે.
ગુજરાતમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાઓ દ્વારા ગુજરાત સરકાર સાથેનાં સંયોજન દ્વારા નક્કી કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિજન નિઃશુલ્ક કોરોના સંક્રમિત દર્દીઓની સેવા માટે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રવિવારના રોજ પાટણની ધારપુર કોવિડ હોસ્પિટલમાં પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાં આશિર્વાદથી બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પાટણના પ.પૂ.ઉતમપ્રિય સ્વામી અને પ.પૂ. નિત્યસેવા દાસ સ્વામીની ખાસ ઉપસ્થિત વચ્ચે 8 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ અર્પણ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડિ.કે. પારેખ, પાટણ ધારાસભ્ય ડો.કીરીટ પટેલ, ધારપુર મેડિકલ હોસ્પિટલના ડિન ડો. યોગેશાનંદ ગોસ્વામી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનીષ રામાવત, સિદ્ધહેમ સેવાગ્રુપના સ્નેહલ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.