રાજકોટ,
છેલ્લા ઘણા સમયથી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં 18 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. મળતી માહિતી મુજબ ગાંધીધામ પછી રાજકોટ અને હવે શાપર મગફળીના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે. મગફળીના ગોડાઉનમાં આગ લાગતાં 40000 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાક થઇ ગયો છે.
રાજકોટના ગોંડલ રોડ પર શાપર-વેરાવળ પાસે આવેલા નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં મગફળીનો જથ્થો બળીને ખાક થયો છે. આ ઘટનાની જાણ થતા ફાયરની 10 ટીમો અને SP અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આગ ક્યાં કારણોસર લાગી છે તેનું કારણ હજુ બહાર નથી આવ્યું હાલ વધુ તપાસ ચાલી રહી છે.
આ ઘટના અંગે રાજ્યના કૃષિ મંત્રી રણછોડભાઈ ફળદુએ મીડિયાને જણાવ્યું હતું કે, મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગે તપાસ કરવામાં આવશે. કૃષિ મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી મગફળીના ગોડાઉનમાં વારંવાર આગળ લાગવાની ઘટના પાછળ કોઈ કાવતરાની ગંધ આવી રહી છે. આ મામલામાં સીએમ સાથે મળીને ઉચ્ચ તપાસ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 13 માર્ચના રોજ રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી હતી. જેમાં બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાક થયો હતો. આ આગને કાબૂમાં લેવા માટે 15 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગોંડલના ઉમરાળા રોડ પાસે જીનિંગ મિલમાં વેરહાઉસમાં રાખવામાં આવેલ ટેકાના ભાવથી ખરીદ કરાયેલ મગફળીના જથ્થામાં આગ ભભૂકી હતી. આ આગમાં બે લાખ બોરી મગફળી બળીને ખાક થઈ હતી. રાજ્યમાં છ મહિનામાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે. નાફેડ દ્વારા આ ગોડાઉનને ભાડેથી રાખવામાં આવેલું છે તેમ પણ જાણવા મળ્યું છે.