ભારતના પુલવામાં હુમલાના જવાબદાર આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના આકા મસૂદ અઝહરને યુએન દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયો છે. જો કે સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયથી પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સમૂહોમાં આક્રોશ અને રોષ ભભૂકી ઉઠ્યો છે. મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ મસૂદના સહયોગી આતંકી ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આ આતંકીઓ ભારતમાં હુમલાને અંજામ આપવા માટે ભારતમાં ઘૂષણખોરી કરવા માટે પ્લાન બનાવી રહ્યા છે.
અફઘાનિસ્તાનના કેટલાક આતંકી સંગઠનો આ પ્રકારના આતંકીઓ તાલીમ આપી રહ્યું છે. પાકિસ્તાને સતત તેની નાપાક હરકતો ચાલુ રાખતા ફરીથી ભારતીય સરહદે શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન આ રીતે જ ભારતમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદ સંગઠને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદથી ભારત સતત મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસો કરી રહ્યું હતું. ભારતના આ પ્રયાસોને અંતે સફળતા મળી છે.
ભારતની સાથોસાથ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પણ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં અનેક પ્રસ્તાવો રજૂ કર્યા હતા પરંતુ ચીને દરેક વખતે તેના વીટો પાવરનો ઉપયોગ કરીને આડરૂપ બન્યું હતું અને મસૂદને બચાવતું હતું. ચીને સતત ચાર વાર વીટો પાવરનો આ માટે ઉપયોગ કર્યો હતો પરંતુ અંતે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ચીને વીટો હટાવવો પડ્યો હતો.