અમદાવાદ,
રાજકોટ નજીક આવેલા સરકાર હસ્તકના મગફળીના ગોડાઉનમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી. છેલ્લા છ માસમાં સરકારી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે, જેના કારણે અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. ત્યારે સતત બનતા આગના બનાવો અંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કોઈ કાવતરાની ગંધ હોવાનું જણાવીને સીએમ સાથે મળીને ઉંચ્ચ તપાસ કરવામાં આવશે તેમ મીડિયાને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના કેપિટલ સિટી ગણાતા રાજકોટ નજીક રાજકોટ-ગોંડલ રોડ ઉપર આવેલ નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના સરકારી મગફળીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જાણ થતાં રાજકોટ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટર ગુપ્તા તેમજ જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બીજી બાજુ આ ઘટના અંગે રાજ્યના કૃષિ મંત્રી રણછોડભાઈ ફળદુએ મીડિયાને જણાવ્યું હતું કે, “મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગે તપાસ કરવામાં આવશે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્યમાં સરકારી મગફળીના ગોડાઉનમાં વારંવાર આગળ લાગવાની ઘટના પાછળ કોઈ કાવતરાની ગંધ આવી રહી છે. આ મામલામાં સીએમ સાથે મળીને ઉચ્ચ તપાસ કરવામાં આવશે”.
નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ) હસ્તકના આ સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને ઓલવવા માટે રાજકોટ ઉપરાંત ગોંડલ અને જેતપુરથી દસથી વધુ ફાયર ફાયટરોને દોડાવવામાં આવ્યા છે.
આ આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે. આ નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં અંદાજે ૪૩ હજાર ગુણી મગફળીનો જથ્થો હોવાનું કહેવાય રહ્યું છે.
રાજ્યમાં છ મહિનામાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે. નાફેડ દ્વારા આ ગોડાઉનને ભાડેથી રાખવામાં આવેલું છે એમ પણ જાણવા મળ્યું છે.